gujarat rain news: વરસાદની ચાતક નજરે રાહ જોતા ગુજરાતીઓ માટે મોટા સમાચાર છે. રાજ્યમાં એકસાથે 4 વેધર સિસ્ટમ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, શીયર ઝોન, મોન્સૂન ટ્રફ અને લો પ્રેશર) એક્ટિવ થઈ ગઈ છે. આજે સવારે 6 થી બપોરે 12 વાગ્યા સુધીના આંકડા પર નજર કરીએ તો, રાજ્યના 81 તાલુકાઓમાં મેઘરાજાએ મહેર કરી છે. જેમાંથી 10 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચ કરતાં વધારે પાણી પડ્યું છે. સૌથી વધુ બેહાલ પંચમહાલ અને મહીસાગર જિલ્લા થયા છે. પંચમહાલના શહેરામાં જાણે આભ ફાટ્યું હોય તેમ 5 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે મહીસાગરના કોઠંબામાં 4 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવાઈની વાત તો એ છે કે કોઠંબામાં છેલ્લી 2 કલાકમાં જ 2.5 ઇંચ જેટલું પાણી પડી ગયું!

Continues below advertisement

હવે વાત કરીએ મેગાસિટી અમદાવાદની. અહીં વહેલી સવારે માત્ર 2 કલાકમાં જ ગાજવીજ સાથે 1 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારના કઠવાડા, નિકોલ, ઓઢવ અને હંસપુરામાં વરસાદનું જોર ખાસ્સું એવું રહ્યું. વરસાદ એટલો જબરદસ્ત હતો કે એસ.જી. હાઇવે, સોલા અને નિકોલ વિસ્તારમાં વિઝિબિલિટી સાવ ઘટી ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી. બીજી તરફ, સરસપુર, ઓઢવ અને નિકોલના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થઈ. સૌથી મોટી ઘટના એસ.જી. હાઇવે પર બની, જ્યાં હાઇકોર્ટ ઓવરબ્રિજ પાસે ભારે વરસાદને કારણે એક મોટો ભૂવો પડી ગયો. જોકે, AMC દ્વારા તાત્કાલિક આ વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. પાડોશી શહેર ગાંધીનગર અને કલોલમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા, વીરપુર અને બાલાસિનોરમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસતા જનજીવન ખોરવાયું છે. કોઠંબાના રાબડીયા ગામમાં તો એક કાચું મકાન પણ ધરાશાયી થયું હોવાના અહેવાલ છે. જોકે, આ મુશ્કેલીઓ વચ્ચે ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ આવ્યા છે. વાવ-થરાદ, અમરેલી અને છોટાઉદેપુર પંથકમાં આશરે 1 અઠવાડિયાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી પધરામણી કરી છે. સુકાઈ રહેલા ખરીફ પાકોને નવું જીવતદાન મળતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

Continues below advertisement

આ પણ વાંચોઃ 18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવની આગાહી મુજબ, સક્રિય સિસ્ટમ્સના કારણે રાજ્યમાં હજુ 2 દિવસ વરસાદી માહોલ જામ્યો રહેશે. આજે 11 ઓગસ્ટે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે અરવલ્લી, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ સહિત કુલ 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' અપાયું છે. આવતીકાલે એટલે કે 12 ઓગસ્ટના રોજ પણ દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ એમ 5 જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે 'યલો એલર્ટ' યથાવત રખાયું છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સાથે વીજળીના કડાકા-ભડાકા થવાની પૂરી શક્યતા છે. વરસાદના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતા 3 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જોકે, સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો હજુ પણ સારા વરસાદની આશા રાખી રહ્યા છે, કારણ કે ત્યાં સામાન્ય કરતા 21 ટકા જેટલો ઓછો વરસાદ પડ્યો છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં આગામી 3 કલાક ભારે: 15 જિલ્લામાં ઓરેન્જ અને 20 જિલ્લામાં યલો એલર્ટ જાહેર