Gujarat weather nowcast update: જો તમે આજે સાંજે બહાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. અમદાવાદ સ્થિત ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 10 ઓગસ્ટ 2026 ના રોજ સાંજે 4:00 વાગ્યે એક તાકીદનું 'નાઉકાસ્ટ' (હવામાન બુલેટિન) બહાર પાડવામાં આવ્યું છે. આ બુલેટિન મુજબ, સાંજે 4 થી 7 વાગ્યા સુધીના આગામી 3 કલાક દરમિયાન આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.
15 જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ' ની ચેતવણી
હવામાન વિભાગના લેટેસ્ટ મેપ અને વિગતો અનુસાર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ-ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. આ વિસ્તારોના 15 જિલ્લાઓ માટે 'ઓરેન્જ એલર્ટ' (Orange Alert) જાહેર કરવામાં આવ્યું છે. અહીં કલાકના 5 થી 15 મિમીની ઝડપે મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે જ 41 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે જોરદાર પવન ફૂંકાઈ શકે છે અને વાદળથી જમીન પર વીજળી પડવાની પણ સંભાવના (30% થી ઓછી) રહેલી છે.
આ જિલ્લાઓમાં છે ઓરેન્જ એલર્ટ:
અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, બોટાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
બાકીના વિસ્તારોમાં 'યલો એલર્ટ' (હળવો વરસાદ)
રાજ્યના અન્ય વિસ્તારો માટે હવામાન વિભાગે યલો એલર્ટ (Yellow Watch) જાહેર કર્યું છે, જ્યાં 5 મિમી/કલાકથી ઓછો એટલે કે હળવો વરસાદ પડવાની શક્યતા છે. આ 20 જિલ્લાઓ અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નીચેના નામોનો સમાવેશ થાય છે:કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલી.
આ પણ વાંચોઃ આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
સંભવિત અસરો અને નાગરિકો માટે તંત્રની ખાસ સલાહ:
ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે કેટલીક મુશ્કેલીઓ સર્જાઈ શકે છે, જેના માટે તંત્ર દ્વારા નીચે મુજબની સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે:
ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યા: ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, જેથી વાહનવ્યવહાર ખોરવાઈ શકે છે. આથી, મુસાફરી કરતા પહેલા રૂટ પર ટ્રાફિકની સ્થિતિ ચોક્કસ ચકાસી લો અને વારંવાર પાણી ભરાતા હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.
પવનથી નુકસાનનો ખતરો: તેજ પવનના લીધે ઝાડની ડાળીઓ કે જાહેરાતના મોટા હોર્ડિંગ્સ પડી શકે છે. આ ઉપરાંત, જૂના કે જર્જરિત મકાનોને નુકસાન થવાની સંભાવના છે, તેથી આવા મકાનોમાં આશ્રય લેવાને બદલે સુરક્ષિત સ્થળે જતા રહો.
પશુધનની સુરક્ષા: ખેડૂતો અને માલધારી ભાઈઓએ પોતાના પશુઓને ખુલ્લામાં બાંધવાને બદલે તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી લેવા જોઈએ.
આ પણ વાંચોઃ આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાંIMD નું એલર્ટ
