ગીર સોમનાથઃ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે, ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો હતો. નિતલી ગામની નદીમાં પુર આવતાં વરજાંગભાઈ માલધારીની બે ભેંસો તણાઈ ગઈ હતી.


ગીર ગઢડા તાલુકામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થયું હતું. જેને લઈને ખેડૂતોમાં ફરી ચિંતા વધી ગઈ હતી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નિતલી ગામે નદીમાં પુર આવતાં વરજાંગભાઈ માલધારીની બે ભેંસો પાણીમાં તણાઈ ગઈ હતી.

જંગલ વિસ્તારમાં માત્ર બે કલાકમાં 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો જેને કારણે રાવલ નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી. ખીલાવડ, ધોકડવા, નગડીયા, જસાધાર, બેડીયા, મોતીસર, ચીખલકુબા અને નિતલી ગામમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને કારણી જ્યાં જુઓ ત્યા પાણી ભરાઈ ગયા હતાં.

સાહી નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાતા નગડિયા, શરોસણી, અંબાડા અને વાજડી સહિત છ ગામો સંપર્ક વિહોણા બન્યા હતાં. આ ઉપરાંત તુલસી શ્યામ ગીરના આસપાસ પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો.

સાહિ નદીમાં ઘોડાપુર આવતાં નગડીયા, શરોસણી, અંબાડા, વાજડી સહિત છ ગામો સંપર્ક વિહોણો બન્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે. ઝોન પ્રમાણે વાત કરવામાં આવે તો સૌથી વધારે સરેરાશ વરસાદ કચ્છમાં પડ્યો છે. કચ્છમાં આ વર્ષે સરેરાશ 255 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 163 ટકા વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 104 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 88.50 ટકા વરસાદ પડ્યો છે.