રાજુલાઃ રાજ્યમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. રાજકીય નેતાઓ, કોરોના વોરિયર્સ સહિત આમ આદમી તેની ઝપેટમાં આવી ગયા છે. રાજુલા કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર પણ હવે કોરોનાથી સંક્રમિત થયા છે.


જિલ્લા આરોગ્ય અધિકારીએ અંબરીશ ડેરનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાની પુષ્ટિ કરી છે. ધારાસભ્ય અંબરીશ ડેરનો કોરોના પોઝિટિવ આવતાં તેઓ સ્વૈચ્છિક રીતે પોતાના ફાર્મ હાઉસમાં ક્વોરન્ટાઈન થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા તેમના ફાર્મ હાઉસને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયો છે. હાલ તેમની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

અમરેલીમાં શનિવારે કોરોનાના 28 કેસ નોંધાતા સંક્રમિતોની સંખ્યા 1404 પર પહોંચી છે. જિલ્લામાંથી આજે 32 લોકો ડિસ્ચાર્જ થયા હતા, હાલ 237 લોકો સારવાર હેઠળ છે. અત્યાર સુધીમાં કુલ 1140 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવી ચુક્યા છે અને 27 લોકોને કોરોના કાળ બનીને ભરખી ગયો છે.

ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતથી જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે. રાજ્યમાં સતત પાંચમા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1311 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3094 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16,366 એક્ટિવ કેસ છે, જ્યારે 83,546 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 85 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,281 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,03,006 પર પહોંચી છે.