Gujarat Shops and Establishments Act 2026: ગુજરાત વિધાનસભા ખાતે મંગળવાર, 17 ફેબ્રુઆરી 2026 ના રોજ શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા 'ગુજરાત દુકાન અને સંસ્થા (સુધારા) વિધેયક' રજૂ કરવામાં આવ્યું હતું, જે ગૃહમાં સર્વાનુમતે પસાર થયું છે. આધુનિક સમયની માંગ અને 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'ને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે દાયકાઓ જૂના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. હવેથી રાજ્યમાં દૈનિક કામના કલાકો 9 થી વધારીને 10 કરવામાં આવ્યા છે. આ સુધારાનો મુખ્ય હેતુ શ્રમયોગીઓની આર્થિક સુખાકારી વધારવાની સાથે વેપારીઓ અને સ્ટાર્ટ અપ્સને વહીવટી પ્રક્રિયામાં રાહત આપવાનો છે. ખાસ કરીને જે સંસ્થાઓમાં 20 થી વધુ કર્મચારીઓ છે, તેમને જ હવે આ કાયદા હેઠળ નોંધણી કરાવવી પડશે.

મહિલા સશક્તીકરણ: સુરક્ષા સાથે રાત્રિ પાળીમાં કામ કરવાની છૂટ

નવા કાયદામાં મહિલા શ્રમયોગીઓ માટે રોજગારીની તકો વધારવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. હવે મહિલાઓ તેમની સંમતિથી રાત્રે 9 થી સવારના 6 કલાક દરમિયાન નાઇટ શિફ્ટ કરી શકશે. જોકે, આ માટે સંસ્થાએ મહિલાઓની સુરક્ષા, ગરિમા અને સન્માન જળવાય તેની ખાતરી કરવી પડશે. માલિકોએ મહિલા કર્મચારીઓ માટે અલગ આરામ ખંડ, શૌચાલય, રાત્રિ ઘોડીયાઘર અને ઘર સુધી લાવવા લઈ જવાની વાહન વ્યવસ્થા પૂરી પાડવી અનિવાર્ય રહેશે. જાતીય સતામણી સામે રક્ષણ અને સુરક્ષિત વાતાવરણ આપવાની શરતે જ આ પરવાનગી મળશે.

Continues below advertisement
Continues below advertisement

ઓવરટાઇમ અને રજિસ્ટ્રેશનના નિયમોમાં રાહત

રાજ્ય સરકારે નાના વેપારીઓ અને ઉદ્યોગોની ઉત્પાદકતા વધારવા માટે ઓવરટાઇમની મર્યાદામાં પણ વધારો કર્યો છે:

  • ઓવરટાઇમ મર્યાદા: ત્રણ મહિનામાં ઓવરટાઇમની મર્યાદા 125 કલાકથી વધારીને 144 કલાક કરવામાં આવી છે.
  • નવા રજિસ્ટ્રેશન નિયમ: અગાઉ 10 કર્મચારીઓ પર નોંધણી ફરજિયાત હતી, જે મર્યાદા હવે વધારીને 20 કર્મચારીઓની કરવામાં આવી છે. જે સંસ્થાઓમાં 20 થી ઓછા કર્મચારી છે તેમણે માત્ર ઓનલાઈન જાણ કરવાની રહેશે, નોંધણીની જરૂર રહેશે નહીં.
  • કામના કલાકો: સળંગ કામના કલાકોની મર્યાદા 5 થી વધારીને 6 કલાક કરાઈ છે, ત્યારબાદ વિરામ આપવો જરૂરી રહેશે.

વિકસિત ભારત@2047 ના વિઝન તરફ આગેકૂચ

મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ઉમેર્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ સુધારો "મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સીમમ ગવર્નન્સ"ની નીતિને સાર્થક કરે છે. આ ફેરફારોથી વર્ષના 365 દિવસ સંસ્થાઓ ચલાવવાની સ્વતંત્રતા મળશે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ તેજ બનશે. હજારો નાના વેપારીઓ અને નવા સાહસિકોને લાયસન્સ રાજમાંથી મુક્તિ મળશે અને રાજ્યના જીડીપીમાં (GDP) મહિલાઓનું યોગદાન વધશે.