તાપી: રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસ(Coronavirus)ના સંક્રમણને લઈ લોકો સ્વયંભૂ લોકડાઉન (Lockdown)લગાવી રહ્યાા છે. ત્યારે કોરોના (Corona)સંક્રમણ વચ્ચે વ્યારા (vyara)નગરના વેપારીઓએ એક સ્વૈચ્છિક નિર્ણય લીધો છે કે, આવતીકાલથી આગામી 15મી એપ્રિલ સુધી વ્યારા નગરના બજારો સવારે 9 થી  બપોરના 2 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. વ્યારામાં કોરોનાના કેસ એકાએક વધતા વેપારીઓએ વધુ સંક્રમણ વકરે નહીં તે માટે આ નિર્ણય લીધો છે. આ નિર્ણય માત્ર વ્યારા નગરના વેપારીઓનો છે અન્ય તાલુકા મથકોમાં દુકાનો ચાલુ રહેશે. 


સુરતમાં કેટલીક શેરી પતરા મારી બંધ કરાઈ


સુરત શહેરમાં કોરોના કહેર (Surat Corona Cases) વર્તાઈ રહ્યો છે અને કોરોનાના કેસો વધતાં મુખ્ય રસ્તા પરની કેટલીક  શેરીઓ વાંસ અને પતરાં ઠોકીને બંધ કરાતાં લોકોમાં ભારે ફફડાટ છે. આ રીતે મુખ્ય રસ્તા વાંસ-પતરાં ઠોકીને બંધ કરાવા માંડતાં શહેરમાં ફરી લોકડાઉન (Surat Lockdown) લદાશે કે શું એવી ચર્ચા પણ શરૂ થઈ છે.


ક્યાં લગાડ્યા પતરાં


સુરતમાં હાલમાં મહિધરપુરા હીરાબજારની (Mahidharpura Diamond Market) શેરીઓ નિયંત્રિત કરાઇ છે અને મોટીશેરી (Moti Sheri), ભૂતશેરી (Bhoot Sheri), નાગરશેરી (Nagar Sheri), મણિયારાશેરી, વાણીયા શેરી બંધ કરી દેવાઈ છે. આ ઉપરાંત ગલે મંડી, મોટી શેરી, ગુંદી શેરીનાં નાકાં પણ બંધ કરાયા છે. આ તમામ શેરીઓ વાંસ, પતરા ઠોકીને બંધ કરી દેવાઈ છે. શહેરમાં મુખ્ય રસ્તા પરની 8થી વધુ શેરી બંધ કરી દેવાતાં શહેરમાં લોકડાઉનની (Lockdown) તૈયારીઓ શરૂ કરાઈ છે કે શું એવી ચર્ચા ચાલી રહી છે. બીજી તરફ શહેરમાં તાવના દર્દીની સંખ્યા વધી અને  નજીકની હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ ગઈ છે. દર્દીઓ વધતા લોકોમાં ગભરાટનો માહોલ છે. રાજ્યમાં કોરના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેના કારણે લોકો ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન લગાવી રહ્યા છે. 


શનિવારે રાજ્યમાં અત્યાર સુધીના સર્વોચ્ચ ૨,૮૧૫ નવા કેસ નોંધાયા હતા. જ્યારે સુરતમાંથી ૫, અમદાવાદમાંથી ૪, ભાવનગર-રાજકોટ-તાપી-વડોદરામાંથી ૧-૧ એમ કુલ ૧૩ના મૃત્યુ થયા હતા. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૧૧૭ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. એટલે કે દર મિનિટે બે લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે.