Gujarat Weather: દેશભરમાં ચોમાસાની સિઝન હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે, રાજ્યમાં પણ હવે ચોમાસાનું વિદાયની નજીક છે, તાજા હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર, રાજ્યમાં લગભગ ચોમાસુ વિદાય લેવાની તૈયારીમાં છે, અને શિયાળાની શરૂઆત થવા જઇ રહી છે. આ પહેલા ચોમાસાની આ સિઝનમાં રાજ્યમા શું છે સ્થિતિ જાણો.... 


હાલમાં મળી રહેલા નવા અપડેટ પ્રમાણે, રાજ્યમાંથી ચોમાસું હવે આગામી ત્રણ-ચાર દિવસોમાં વિદાય લઇ લેશે, આ વખતે અષાઢ, શ્રાવણ અને ભાદરવા મહિનામાં ભરપુર વરસાદ ખાબક્યો છે, ઠેર ઠેર વરસાદી માહોલના કારણે કેટલીય જગ્યાએ નદી-નાળા, ડેમો અને તળાવો છલકાયા છે. રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાતી વધુ વરસાદ પડ્યો છે, જેમાં 128 તાલુકામાં 100% વરસાદ પડ્યો અને 4 તાલુકા એવા છે જ્યાં 60%થી ઓછો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં વરસાદી પાણીએ પણ કેર વર્તાવ્યો છે, ક્યાંક પુર તો ક્યાંક ડેમો છલોછલ જોવા મળ્યો છે. આ વખતે નર્મદા નદી પરનો સરદાર સરોવર ડેમ 95% ટકા ભરાઇ ગયો છે, એટલુ જ નહીં આ સિઝનના વરસાદથી રાજ્યમાં 71 ડેમો છલોછલ થઇ ગયા છે. આ સિઝનમાં 35 ઇંચ વરસાદ પડવાનો અંદાજ હતો, જેની સામે આ વખતે પોણા 37 ઇંચ વરસાદ ખાબક્યો છે, જે સિઝનનો સૌથી સારો વરસાદ ગણી શકાય. 


શિયાળાને લઈ પરેશ ગોસ્વામીએ શું કરી આગાહી ?



રાજ્યમાંથી ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે.  દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ શિયાળાને લઈ મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું, ચાલુ વર્ષે શિયાળો 20 થી 25 દિવસ મોડો આવે તેવી શક્યતા છે. 10 ઓક્ટોબર પછી ઉત્તર પૂર્વના પવન સેટ થતા હોય છે, છતા પણ અલનિનોના કારણે ઉત્તર ભારતમાં બરફ વર્ષા 20 દિવસ મોડી શરૂ થવાની શક્યતા છે. 20 અથવા 25 નવેમ્બરથી શિયાળો શરૂ થવાની શક્યતા છે. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં વધુ ઠંડી જોવા મળે તેવી શક્યતા છે. ઉત્તર ભારતમાં અલનીનોની કંડીશનને કારણે બરફ વર્ષ છે એ 20 દિવસ મોડી શરૂઆત થાય તેવી શક્યતાઓ છે.   ત્યારે 1 લી નવેમ્બરની જગ્યાએ 20 અથવા 25 નવેમ્બરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. એકંદરે જોવા જઈએ તો 20 થી 25 દિવસ શિયાળો આ વર્ષે મોડો જોવા મળશે.


હવામાન વિભાગે શું કરી છે આગાહી


હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે અલ નીનો આ વખતે શિયાળા સુધી ચાલશે. ડિસેમ્બરથી માર્ચ 2024 દરમિયાન અલ નીનોની સંભાવના 95 ટકા જેટલી ઊંચી છે. આવી સ્થિતિમાં આ વખતે શિયાળાના દિવસો ઓછા રહી શકે છે. ઓછા ઠંડા પવનો પણ હોઈ શકે છે. ઠંડીમાં ઘટાડો થવાને કારણે ગરમીના દિવસોમાં પણ વધારો જોવા મળી શકે છે. ડૉ. મહાપાત્રાએ કહ્યું કે આ વખતે અલ નીનોની અસર ઓછી જોવા મળી છે. સામાન્ય રીતે અલ નીનોના કારણે વરસાદમાં 10 થી 25 ટકાનો ઘટાડો થાય છે અને દુષ્કાળ પડે છે. જોકે, કોઈ ગંભીર સ્થિતિ સર્જાઈ ન હતી. તેની પાછળ ત્રણ મોસમી ઘટનાઓ છે. તેમણે કહ્યું કે આ વખતે હિંદ મહાસાગરના દ્વિધ્રુવ, લો પ્રેશર સિસ્ટમ અને મેડન જુલિયન ઓસિલેશનને કારણે વરસાદમાં બહુ ઘટાડો થયો નથી. નવી દિલ્હી અને એનસીઆર વિસ્તારમાં ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે. જે લોકો સવારે ઉઠીને ફરવા જાય છે તેમના માટે ગરમ કપડા જરૂરી બની ગયા છે. રાત્રી દરમિયાન પંખાની સ્પીડ ઓછી કરવી પડે છે. પરંતુ દિવસ દરમિયાન ગરમીનો અનુભવ તતો હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી થોડી ગરમી રહેશે. પરંતુ સાંજ અને સવારના સમયે વાતાવરણ ખુશનુમા રહેશે. દિલ્હીમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં દિલ્હી-NCRમાં ઠંડા પવનો ફૂંકાશે. જો કે બપોરના સમયે લોકોને ચોક્કસ ગરમીનો અહેસાસ થશે.