અમરેલીઃ ગુજરાતમાંથી આમ તો ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે પરંતુ જતાં જતાં પણ ખેડૂતોની ચિંતા વધારી રહ્યા છે. આજે સાંજે અમરેલીના ધારીના ગીર કાંઠા વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો અને જોત જોતમાં ગઢિયા, વિરપુર, નાગધ્રા, નાની ધારી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. અચાનક વરસાદ તૂટી પડતાં તૈયાર થયેલી મગફળીના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું.


આ ઉપરાંત લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો. દામનગર શહેર તેમજ આસપાસના દહીંથરા, કાચરડી સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

ગુજરાતના એક જાણીતા અખબારના જણાવ્યા પ્રમાણે, 30 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધીમાં હાથીયો ગુજરાતના ઘણાં ભાગોમાં ગાજવીજ સાથે વરસે તેવી સંભાવના છે. આ ઉપરાંત 9 ઓક્ટોબરથી 12 અને 17 ઓક્ટોબરમાં પણ ઘમાં ભાગો વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. 9 ઓક્ટોબરથી 12 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરના પૂર્વ ભાગ અને ભારતના દક્ષિણ છેડે હવાના હળવા દબાણ ઉભા થવાની શક્યતા જોવા મળી રહે છે.



12 ઓક્ટોબરથી તાપ પડે અને ઓક્ટોબર મહિનામાં રાજસ્થાનના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ જેટલું થવાની શક્યતા જોવા મળી રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં ડાંગ, વલસાડ, નવસારી, સુરતના કેટલાક ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 36 ડિગ્રી સેલ્સિયસ, કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણના ભાગોમાં 38 ડિગ્રી, જુનાગઢ, ભાવનગર, અમરેલીના ભાગોમાં 37 ડિગ્રી સેલ્સિયસ, મધ્ય ગુજરાતના ભાગોમાં 37 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન જવાની શક્યતા છે.

આ ઉપરાંત 13 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત ફુંકાય તેવી સંભાવના છે. જેની અસર આંધ્રપ્રદેશ, ઓરિસ્સા તેમજ ભારતના દક્ષિણ છેડે રહેવાની શક્યતા છે. નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. નવેમ્બર મહિનામાં દિવસનો તાપ આકરો રહેશે. પાછલી રાત્રિના ભાગોમાં ઠંડા પવન ફૂંકાશે તેવું લાગી રહ્યું છે.