સોખડા: સોખડા હરિધામ મંદિરના સંતોએ મુખાગ્નિ આપીને હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ સંસ્કાર કર્યાં હતા. હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો છે. આ સમયે સંતો અને ભક્તો રડી પડ્યા હતા. આ પહેલા પાલખી યાત્રા હાલ લીમડા વન ખાતે પહોંચી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કર્યાં હતા.




મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, હરિપ્રસાદ સ્વામીના હંમેશા આપણી સાથે જ રહેશે. ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી તેમને શ્રદ્ધાંજલિ અર્પુ છું. તેમના આશિર્વાદ આપણા પર વરસતા રહેશે તેવી મને શ્રદ્ધા છે. 


સ્વામીજી પાલખી યાત્રા મંદિર પરિસરમાં ફેરવવામાં આવી હતી, ત્યારે હરિભક્તો ચોધાર આસુંએ રડી પડ્યા હતા. ચંદનના લાકડાનું સિંહાસન સ્વામીજી માટે ખાસ તૈયાર કરવામાં આવ્યુ છે. તો બીજી તરફ, અંત્યેષ્ટિ વિધિ વિધિમાં નાંખવા હરિભક્તોએ સોનાનું દાન પણ કર્યું છે. મહિલા હરિભક્તોએ પોતાના સોનાના દાગીના દાન કર્યા છે. સ્વામીજીને પંચમહાભુતમાં વિલિન થયા છે. લાખો હરિભક્તોએ ભીની આંખે સ્વામીજીને વિદાય આપી હતી.




પાલખીયાત્રામાં  મોટી સંખ્યામાં સંતો જોડાયા હતા. સ્વામીજીના દિવ્ય વિગ્રહને રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા યજુર્વેદ સંહિતાના પુરૂષસૂક્તમાં દર્શાવ્યા અનુસાર અંતિમ સંસ્કાર વિધિ કરાવી હતી. સંતોએ તેમની પાલખી યાત્રા કરાવી હતી. પુષ્પોથી તેમના પાર્થિવ દેહ પર ફૂલોનો વરસાદ કરાયો હતો. તેમના પાર્થિવ દેહ પર અનેરુ તેજ જોવા મળ્યુ હતું. તેમની અંતિમ ઝલક જોઈને હરિભક્તો રડી પડ્યા હતા. તેમની પાલખીની મંદિરમાં પાંચ પરિક્રમા કરાવી હતી.


આજે સવારથી જ અંત્યેષ્ટી માટેની શાસ્ત્રોક્ત વિધિઓ શરૂ કરવામાં આવી હતી. અંત્યેષ્ટીની શાસ્ત્રોક્ત વિધિઓ પાંચ પંડિતો દ્વારા કરાવવામાં આવી હતી. જેમાં રાજકોટના નામાંકિત શાસ્ત્રી  કૌશીકભાઈ ત્રિવેદી મુખ્ય પુરોહિત છે. 


ભક્તો માટે લગાવાઈ એલઈડી સ્ક્રીન


સોખડા મંદિર બહાર વિશાળ ડોમ બનાવવામાં આવ્યો હતો.  આ ડોમમાં ભક્તોને બેસવાની વ્યવસ્થા કરાઈ હતી. વિશાળ એલઈડી સ્ક્રીન પર ભક્તોને અંત્યેષ્ટિ વિધિ બતાવવામાં આવી હતી. અહી ભક્તો દૂર દૂરથી આવ્યા છે.