અમદાવાદઃ રાજ્યમાં ભાદરવાની શરૂઆતથી વરસાદી માહોલ સર્જાતાં રવિવારે ઉત્તર ગુજરાત, કચ્છ, સુરેન્દ્રનગર અને ખેડા જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો. અરવલ્લીના મોડાસામાં બે દિવસમાં પાંચ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા હજુ 3 સપ્ટેમ્બરથી પાંચમી સુધી ભારે વરસાદની આગાહી કરાઈ છે. કચ્છના નાના સરાડા ગામની 14 વર્ષની બાળકીનું વીજળી પડતાં મોત નિપજ્યું હતું. કોઠારામાં મંદિરના શીખર પર વીજળી પડતાં શિખર ખંડીત થઇ ગયું હતું.


જો કે અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, નવસારી, વલસાડ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ આગાહી કરવામાં આવી છે. 3 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બરના રોજ મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ જિલ્લામાં વરસાદ પડશે. 5 સપ્ટેમ્બરે સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દનરગર, રાજકોટ, ભાવનગર અને કચ્છ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આઇ આશાપુરાના જ્યાં બેસણા છે ત્યાં માતાના મઢ ખાતે 30 મિનિટના ધોધમાર વરસાના પગલે મુખ્ય બજારમાં પાણી વહી નીકળતાં નદી જેવા દૃશ્યો સર્જાયા હતા. ગામની નજીકના ચાર તળાવ ઓવરફ્લો થયા હતા. આ પાણીના પ્રવાહનાં પગલે બજારમાં અને મંદિર પરિસર સુધી પાણી ફરી વળ્યા હતા. પુલ નીચે રસ્તા પાસેના પાર્કિંગમાં ઊભેલી પાંચેક કારો ડૂબી ગઇ હતી. જો કે તેમાં કોઇ પ્રવાસી કે ડ્રાઇવર બેઠાં નહોતા તેથી જાનહાનિ કે નુકસાની થઇ નથી. ગામના યુવાનો યાત્રિકોને મદદે આવ્યા હતા.

ગુજરાતમાં અત્યાર સુધીનો 95 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ સારો વરસાદ થવાનું હવામાન વિભાગનુ અનુમાન છે. ચોમાસાની સિઝનના હજુ પણ 30 દિવસ બાકી છે. ચાલુ વર્ષે સારો વરસાદ થવાના કારણે મોટા ભાગના જળાશયો ભરાય ગયા છે. તો જળસ્તર ઉચા આવવાના કારણે કુવાઓમાં પણ નવા નીરની આવક થતા ખેડુતો ખુશ છે.