ગાંધીનગર:  હવામાન વિભાગના અનુમાન મુજબ હાલ 2 વરસાદી સિસ્ટમ શ્યોર અને સાઈસર  સક્રિય છે, જેના પગલે 2 જુલાઈએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી 24 કલાક 5 જિલ્લા માટે ભારે છે. જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી મેઘમહેર છે.   અમદાવાદમાં પણ આજે સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. આગામી 2 દિવસ રાજ્યમાં પવનની ગતિ 30 કિમી આસપાસ રહ્શે. અતિભારે વરસાદના અનુમાનના પગલે આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. રાજ્યમાં 3 જુલાઈથી વરસાદનું જોર ઘટશે. 


ગુજરાત માટે આગામી 24 કલાક ભારે રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. અમરેલી, જૂનાગઢ,નવસારી, વલસાડ, દમણ,સુરતમાં આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.




જૂનાગઢ જિલ્લામાં જળબંબાકાર


જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આજે સતત બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત છે. વિસાવદર તાલુકાના મોણીયા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. મોણીયા ગામને સડક સાથે જોડતા માર્ગ ઉપર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હતો. 


જૂનાગઢ શહેરમાંથી પસાર થતી સોનરખ નદી ભારે વરસાદના કારણે બે કાંઠે થઈ છે. ગિરનાર પર્વત પરના વરસાદથી સોનરખ નદીમાં પાણીની આવક થઈ છે.  સોનરખ નદી બે કાંઠે થતા અનેક ગામડાઓ એલર્ટ પર છે.  ઉપરવાસમાં સારા વરસાદના કારણે આઠ ડેમ ઓવરફ્લો થતાં જૂનાગઢ જિલ્લાના 41 ગામ એલર્ટ પર છે. 




જૂનાગઢના ભેસાણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.  ઉપરવાસમાં ભારે વરસાદથી ભેસાણમાં જનજીવન પ્રભાવિત થયું છે. અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે.  નદી-નાળાઓમાં પાણીની ભારે આવક થઈ છે.  


રાજયમાં ભારે વરસાદ બન્યો આફતરૂપ, કુલ આ 218 રસ્તા કરાયા બંધ


રાજયમાં ભારે વરસાદના પગલે કુલ 218 રસ્તા બંધ કરવામાં આવ્યાં છે.  9 સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના 198 રોડ વરસાદના કારણે બંધ કરવામાં આવ્યાં છે. સૌથી વઘુ નવસારીમાં 67 માર્ગો બંધ કરવામાં આવ્યાં છે. તો રાજયમાં કુલ 32 રૂટ રદ કરાયા છે. 32 રૂટની 104 ટ્રીપ વરસાદના કારણે બંધ કરવામાં આવી છે. વરસાદી પાણી ફરી વળતા અનેક ઠેકાણે રસ્તાઓને ભારે નુકસાનના અહેવાલ છે.


ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદના કારણે  ઉનાની રૂપેણ અને માલણ નદીમાં પૂર આવ્યું છે. નદી  બે કાંઠે વહેતી થઇ છે.  ખત્રીવાડા ગામના કોઝવે પર પણ નદીના પાણી ફરી વળ્યા  છે.  સનખડાથી ખત્રીવાડા તરફનો રસ્તો બંધ થયો છે.  વાહન વ્યવહાર ખોરવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગીર સોમનાથમાં ગીર ગઢડામાં મૂશળધાર વરસાદના કારણે ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના વધુ 2 દરવાજા ખોલવામાં આવતા  ઉનાના 19 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.