વલસાડ:  વલસાડ જિલ્લાના કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. કપરાડામાં 6 કલાકમાં 9 ઈંચથી વધારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વલસાડ જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો છે.  વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.   વલસાડના મોટી પલસાણ ગામમાં ખાડીના પાણી કોઝ વે પર ફરી વળ્યા હતા. કોઝ વે પરથી ધસમસતા પ્રવાહમાંથી વિદ્યાર્થીઓ જીવના જોખમે પસાર થતા જોવા મળ્યા હતા.  ધરમપુર અને કપરાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચવેચા ઓહલ નદીના કોઝ વે પર પાણી ફરી વળતા અનેક ગામોનો સંપર્ક કપાયો છે. 


નાનાપોંઢા  નાસિક હાઈવે પર કેટલીક જગ્યાએ પાણી ભરાયા છે. વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  કપરાડા અને ધરમપુર તાલુકાના તમામ નદીનાળાઓએ તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે.   કેટલીક જગ્યાએ લો લેવલ કોઝવે પર પાણી ફરી વળ્યા છે.  અનેક ગામનો સંપર્ક કપાયો છે.  મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. મધુબનમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાયું છે.  ડેમમાંથી દમણ ગંગા નદીમાં પાણી છોડાયું છે. નદી કિનારાના ગામોને સાવચેત રહેવા સૂચન કરવામાં આવ્યું છે. 


 


ગુજરાતમાં રાત્રિના 10 વાગ્યા સુધીમાં 91 તાલુકામાં વરસાદ


વલસાડના કપરાડામાં સૌથી વધુ સાડા નવ ઈંચ વરસાદ


દ્વારકાના ખંભાળિયામાં 9 ઈંચ વરસાદ


જૂનાગઢના વિસાવદરમાં 8 ઈંચ વરસાદ 


વલસાડના ધરમપુરમાં 4 ઈંચ વરસાદ 


દ્વારકાના કલ્યાણપુરમાં ત્રણ ઈંચ વરસાદ


ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચ વરસાદ


પોરબંદરના રાણાવાવમાં અઢી ઈંચ વરસાદ  


સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી


હવામાન વિભાગે  આગાહી કરી છે કે, હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ  સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે.   


સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની કરાઈ આગાહી


23 જુલાઈના અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને આણંદ જિલ્લામાં જળબંબાકાર થશે. જ્યારે 24 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 









હવામાન નિષ્ણાત અંબાલાલે રાજ્યમાં હજુ પણ ભારે વરસાદનો અનુમાન વ્યક્ત કર્યો છે. આગામી 24 જુલાઈ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદનો જોર યથાવત રહેશે, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર ,મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે,ઉત્તર ગુજરાત સાબરકાંઠા અને કચ્છ જિલ્લામાં પણ 24 તારીખ સુધી વરસાદનું જોર  થાવત રહેશે. 27 જુલાઈથી વરસાદની અન્ય એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.