દેવભૂમિ દ્વારકા:  દ્વારકામાં  છેલ્લા બે દિવસમાં વરસેલા 12 ઈંચ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. 12 ઈંચ વરસાદમાં દ્વારકાનગરી જળબંબાકાર થઈ છે. દ્વારકાના ભદ્રકાળી ચોકમાં તળાવની જેમ પાણી ભરાયા છે. જેને લઈ વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. વેપારીઓમાં રોષ છે કે, છેલ્લા 32 વર્ષથી અહીં પાણી ભરાય છે છતાં પ્રશાસન પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ કરતી નથી.


દ્વારકાના આવળપાડા વિસ્તારમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે.  જેને લઈ ઘરવખરીને નુકસાન થયું છે.  200 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.ચરકલા ગામ પાસે હાઈવે પર પાણી ફરી વળ્યા છે.  જેને લઈ વાહનવ્યવહાર ઠપ થયો હતો. ચરકલા રોડ પર આવેલ ખેતરપાળ મંદિરેથી 5 લોકોને રેસ્ક્યૂ કરાયા હતા. 5 લોકો ફસાયા હોવાની જાણ થતાં જ પોલીસ અને પાલિકાની ટીમે રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી.  બેટ દ્વારકામાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે.  યાત્રાળુઓની સલામતી અર્થે આજે ફેરી બોટ સર્વિસ બંધ રાખવામાં આવી છે. 




ખંભાળિયામાં ધોધમાર વરસાદ


જિલ્લાના મુખ્યમથક ખંભાળિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.  સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં 9 ઈંચ વરસાદ ખાબકતા ખંભાળિયા જળબંબાકાર થયું છે. ખંભાળિયાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદના કારણે સોસાયટીઓ જળમગ્ન થઈ છે.  શહેરના નગરગેટ,  રામનાથ સોસાયટી,  સોની બજાર સહિતના વિસ્તાર પાણી-પાણી થયા છે. ખંભાળિયાના ધરમપુર વિસ્તારમાં વ્રજધામ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા. લોકોનું ઘરની બહાર જવું પણ મુશ્કેલ બન્યું છે. 




ખંભાળિયા શહેરની સાથે તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  પશુપાલકોના વાડા પાણીમાં ગરકાવ થયા છે.  ખેતરો તળાવમાં ફેરવાયા છે. સતત વરસતા વરસાદને લઈ ખંભાળિયાની ઘી નદી પરના પુલના દરવાજા ખોલાયા છે. ખંભાળિયા પાલિકાએ પાણીના નિકાલ માટે દરવાજા ખોલ્યા છે.  ખંભાળિયાના બારેજા ગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા.ખંભાળિયાના દાંતા ગામમાં નદીના પાણી ઘૂસતા ગામ જળબંબાકાર થયું. 


સૌરાષ્ટ્ર-કચ્છને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ


હવામાન વિભાગે  આગાહી કરી છે કે, હજુ પણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 3 દિવસ  સૌરાષ્ટ્ર-કચ્છમાં ધોધમાર વરસાદ વરસશે. અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે.  આજે દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, સુરત, ભરૂચ, નવસારી અને વલસાડમાં મૂશળધાર વરસાદ વરસશે.  આવતીકાલે અમદાવાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, બાનસકાંઠા, સાબરકાંઠા, સુરત, વલસાડ, નવસારી અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 


23 જુલાઈના અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ, સુરત, નવસારી, વલસાડ, ભરૂચ અને આણંદ જિલ્લામાં જળબંબાકાર થશે. જ્યારે 24 જુલાઈના જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે.