ગાંધીનગર: ગુજરાતમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. વરસાદની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. ત્રણથી પાંચ જુલાઈ દરમિયાન પણ રાજ્યમાં સારો વરસાદ પડશે.

શુક્રવારે ગુજરાતમાં મેઘમહેર યથાવત્ રહી છે. સવારે છ વાગ્યાથી 12 વાગ્યા સુધી રાજ્યના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ વડોદરાના કરજણમાં નોંધાયો છે. આ ઉપરાંત બીજા નંબરે વલસાડના ઉમરગામમાં નોંધાયો છે.

રાજ્યમાં ચોમાસું અને ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને રાજકોટ અને ગાંઘીનગરમાં બે-બે, સુરત, ભાવનગર, પાલનપુર, વલસાડમાં એક-એક ટીમ તેમજ વડોદરા હેડક્વાર્ટર ખાતે NDRFની સાત ટીમો ખડેપગે રાખવામાં આવી છે.

હવામાન ખાતાની વેબસાઇટ ઉપર કરેલી આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડશે. જેમાં પહેલા દિવસે એટલે કે 28ની જૂનના દિવસે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓમાં વરસાદ પડશે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાના બાદ કરતા ધીમીધારે વરસાદ પડશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લામાં વરાસદ રહેશે. કચ્છ અને દિવસમાં પણ ઓછા પ્રમાણમાં વરસાદ રહે છે. આ સિવાયના જિલ્લાઓમાં હવામાન ચોખ્ખુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.