અમરેલી: અમરેલીના પીપાવાવ પોર્ટ તથા જાફરાબાદ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જાફરાબાદના દરિયામાં કરંટના પગલે અમરેલીની 700 બોટો જાફરાબાદ બંદર પર લાંગરી દેવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી બે ત્રણ દિવસમાં દરિયા કાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહીના પગલે બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવાયું છે.


ખાંભામાં પંથકમાં સતત વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. પવન સાથે ભારે વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતાતુર છે. ખાંભા ઉના હાઇવે પર વરસો જૂનું બાવળનું વૃક્ષ ધરાશાયી થતા હાઇવે બંધ કરવામાં આવ્યો હતો. હાઈવે બંધ થતા વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.

ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ત્રીજી ઓક્ટોબર બાદ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ ઘટી જશે. નવરાત્રી દરમિયાન હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.