છેલ્લા પાંચ દિવસથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે ગઈકાલે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી વરસાદના આંકડા સામે આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્રના માળીયા તાલુકામાં ખાબક્યો હતો. જૂનાગઢના માળીયામાં 2.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો.


છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 53 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માળીયા તાલુકામાં નોંધાયો હતો. માળીયા તાલુકામાં 2.3 ઈંચ વરસાદ નોંધાયો હતો.

આ ઉપરાંત બોટાડના ગઢડામાં 2.1 ઈંચ, પોરબંદરના કુતિયામામાં 2 ઈંચ, ગીરસોમનાથના તાલાલામાં 1.8 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 1.5 ઈંચ, પોરબંદરના રાણાવાવમાં 1.4 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 1.3 ઈંચ, ગીરસોમનાથના ગીરગઢડામાં 1.3 ઈંચ, અમરેલીના વડિયામાં 1 ઈંચ, સુરતના ચોર્યાસીમાં 1 ઈંચ, દાહોદમાં 1 ઈંચ અને રાજકોટના ગોંડલમાં અડધો ઈંચથી વધારે વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલા અપર એર સાઈયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમના કારણે ગુજરાતના વાતવરણમાં પલટો આવ્યો છે. ત્યારે આગામી પાંચ દિવસ સુધી થન્ડરસ્ટોર્મ રહેશે જેના કારણે પહેલા ત્રણ દિવસ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે.

13 જૂનથી લઈને 15 જૂન સુધી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે તેમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જ્યારે બીજા દિવસે બનાસકાંઠા અને આણંદમાં ભારે વરસાદ પડશે તેવું હવામાન વિભાગે જણાવ્યું હતું.