વિસાવદરઃ તેલંગાણામાં સર્જાયેલા લો પ્રેશરનાં પગલે ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો હતો. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં ગુરૂવારે વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા નોંધાયા હતા. અમદાવાદમાં પણ મોડી સાંજે વરસાદ પડ્યો હતો. વિસાવદર પંથકમાં ગુરુવારે 161 મીમી એટલે કે લગભગ 7 ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.


વિસાવદરમાં વરસાદને પગલે સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. વરસાદનું સૌથી વધુ જોર વિસાવદર શહેરમાં, લાલપુર, માંડાવડ સહિતનાં વિસ્તારોમાં વધુ રહ્યું હતું.

અમરેલી જીલ્લાના 10 તાલુકામાં અડધા ઇંચથી લઇ અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો. લીલીયા પંથકમાં બપોર બાદ ધોધમાર વરસાદ તુટી પડયો હતો અને જોતજોતામાં અઢી ઇંચ વરસી ગયો હતો. સાવરકુંડલા અને જાફરાબાદ પંથકમાં સવા બે ઇંચ વરસાદ થયો હતો. લાઠી તાલુકાના મતીરાળા ગામે બે થી અઢી ઇંચ વરસાદ પડયો હતો.

સુરતમાં 6 મિમી, કામરેજમાં દોઢ ઇંચ, ચોર્યાસી 6 મિમી, મહુવા 2 મિમી, માંગરોલ 14 મિમી, ઓલપાડ 7 મિમી, પલસાણામાં 14 મિમી વરસાદ નોંધાયો હતો.

મુંબઈના ઘણા વિસ્તારોમાં ગુરુવારે ભારે વરસાદ થયો હતો. હવામાન વિભાગ દ્વારા કહેવાયું હતું કે હવાનું ઓછું દબાણ સર્જાતા શહેરમાં 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

ગોહિલવાડ પંથકમાં જિલ્લાના 6 તાલુકાઓમાં 2 મી.મી.થી લઇને પોણો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેમાં વલભીપુર ઉપર વિશેષ મહેર વરસી હતી. માત્ર એક જ કલાકમાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. મહુવા શહેરમાં પોણો ઈંચ વરસાદ પડ્યો હતો. બપોર ગણપતીની વિસર્જન યાત્રા સમયે વિજળીના કડાકા ભડાકા સાથે 18 મીમી (0.72 ઈંચ) વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ 462 મીમી (18.48 ઈંચ) થવા જાય છે.

સુરેન્દ્રનગર શહેરની સાથે વઢવાણ, લીંબડી અને લખતર તાલુકાના ગામડાઓમાં અંદાજે સરેરાશ એક ઇચ વરસાદ પડયાના અહેવાલ છે. જિલ્લામાં આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછુ રહેતા સરેરાશ આઠ ઇચ જેટલો જ વરસાદ પડયો છે.