અમદાવાદઃ કોરોનાનો એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવવા પાછળનું કારણ શું છે એ ચર્ચા વચ્ચે તબીબે મોટો દાવો કર્યો છે. સિવિલ હોસ્પિટલના સિનિયર ડોક્ટર કમલેશ ઉપાધ્યાયના મતે વાયરસ ગળામાંથી ફેંફસા સુધી પહોંચી જાય પછી એન્ટિજેન ટેસ્ટ નેગેટિવ આવે છે જ્યારે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા બાદ ત્રણથી ચાર દિવસ સુધી વાયરસ નાક અથવા ગળા મારફતે શરીરમાં પ્રવેશે છે.


મોટા ભાગે દર્દીઓ ચાર દિવસ લક્ષણ જણાયા બાદ ટેસ્ટ કરાવવા જાય છે જેના કારણે વાયરસ ફેંફસા સુધી પહોંચી નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. આમ , કોઈ પણ દર્દીના સંપર્કમાં આવ્યાના ચાર દિવસ બાદ ટેસ્ટ કરાવે તો ટેસ્ટ નેગેટિવ આવે છે પણ વાયરસ દર્દીના શરીર સુધી પહોંચી ચૂક્યા હોય છે.

કોરોનાથી પુનઃ સંક્રમિત થયેલા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં કોરોનાનો ફરી ચેપ જૂજ કિસ્સાઓમાં લાગતો હોવાનું સિવિલના સિનિયર તબીબનું વિશ્લેષણ છે. તેમનું કહેવું છે કે, જે તે સમયે સારવાર દરમિયાન કોરોનાના વાયરસ શરીરમાં રહી ગયા હોય તેવા સંજોગોમાં કોરોના ઉથલો મારે છે. રોગપ્રતિકારક શક્તિ મંદ પડી ગઈ હોવાથી કોરોના ઉથલો મારતો હોવાની વાત પાયાવિહોણી છે.

એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ પણ RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવવા મામલે પણ સિવિલ હોસ્પિટલના સિનિયર તબીબનું વિશ્લેષણ છે કે, અનેક વખતે દર્દીને ગળામાંથી ફેફસા સુધી વાયરસ ફેલાઈ ગયો હોય તેવા સંજોગોમાં એન્ટીજન નેગેટિવ અને RT-PCR ટેસ્ટ પોઝિટિવ આવે છે.