રાજ્ય પર ત્રાટકેલા તાઉતે વાવાઝોડાએ સંઘ પ્રદેશ દિવ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. વાવાઝોડાને લીને રાજ્યમાં 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ઉના, કોડિનાર, અમરેલી અને ગીર સોમનાથ, ભાવનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાને લીધે ભારે બરબાદી થઈ છે. દિવના દરિયાકાંઠાને રાજ્યમાં પ્રવેશેલા વાવાઝોડાએ જે પણ સામે આવ્યુ તબાહ કરી દીધુ છે. વાવાઝોડાની તિવ્રતા એટલી હતી કે 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 16 હજારથી વધુ ઝુંપડા અને કાચ મકાનો ઉપરાંત મોબાઈલ ટાવરો જમીનદોસ્ત થયા છે.


વાવાઝોડાને લીધે મકાન ધરાશાયી થવાથી, વીજ થાંભલા પડવાથી અને કરંટ લાગવાને લીધે રાજ્યમાં 13 લોકો મોત નિપજ્યા છે. ઠેર ઠેર વૃક્ષો પડતા કેટલાય સ્થળોએ વાહનો દટાયા છે. વાવાઝોડાને લીધે ગીર પંથકમાં કેરી અને નાળિયેરના પાકને ભારે નુકસાન થયુ. આ ઉપરાંત ભરૂચ-નર્મદા સહિત દક્ષિણ ગુજરાતમાં કેળા, ચીકુ, શેરડી, તલ, અળદ અને ડાંગરનો પાક બરબાદ થયો છે. જો કે રાજ્ય સરકારના સુદ્રઢ આયોજન અને ઝિરો કેઝ્યુઅલ્ટી એપ્રોચથી ડિટેઈલ્ડ અને એડવાંસ પ્લાનિંગના કારણે મોટી જાનહાની થઈ નથી.


ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે નુકસાન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નિવેદન  આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેમાં ઉનાળુ પાકને પણ નુકસાન થયા છે. અને બાગાયતી ખેતીમાં કેસર કેરીને સૌથી મોટું નુકસાન સામે આવ્યું છે. જે બાદ અનેક લોકોના ઘરનું નુકસાન થયું છે. અનેક જગ્યાએ કાચા અને ઝૂપડાઓ તૂટી ગયા છે. આ પ્રકારના તમામ નુકસાનના તાત્કાલિક સર્વે બાદ સહાય ચૂકવવામાં આવશે.


મુખ્યમંત્રીએ કહ્યું કે, ખેડૂતોને ત્રણ-ચાર પ્રકારનું નુકસા થયું છે. તેમજ ઉનાળુ પાકને અસર થઈ છે. કેરી અને નાળિયેરના પાકને પણ અસર થઈ છે. કાચા મકાનો અને ઝુપડા ઉડી ગયા છે. જે પશુઓના મોત થયા તેને સહાયતા તથા ચોથુ કેશડોલ આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, નુકસાનના સર્વેની કામગીરી તત્કાલ શરૂ કરવામાં આવશે અને બધાને સહાય ચુકવવામાં આવશે. માછીમારોને થયેલા નુકસાનનો પણ સર્વે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આગામી બે દિવસમાં તંત્ર બધુ રાબેતા મુજબ થાય તે માટેની કામગીરી કરાશે.


દિવસભર તૌકતે વાવાઝોડાની તબાહી બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં અનેક જગ્યાએ વીજ પૂરવઠો ખોરવાયો છે. 5951 ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો હતો. તેમાથી 2101 ગામમાં ફરી વીજળી આવી ચૂકી છે. 3850 ગામમાં વીજ પૂરવઠાની કામગીરી ચાલુ છે. 220kvના 5 સબસ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. જેમાંથી 1 સબસ્ટેશન શરૂ થઈ ગયા છે. જ્યારે 4માં કામગીરી ચાલુ છે. આશરે 950 જેટલી ટૂકડીઓ વીજ પૂરવઠાની કામગીરીમાં કાર્યરત છે.


69,429 વીજ થાંભલા તૂટી ગયા છે. સરકાર પાસે 81 હજારથી વધુ થાંભલાઓ તૈયાર છે. સૌરાષ્ટ્રમાં 425 વીજ પુરવઠાની સપ્લાઈને ખાસ અસર થઈ છે. તો કોવિડ હોસ્પિટલમાં વીજ પૂરવઠો ચાલુ થઈ ગયો છે. જ્યાં હવે જનરેટરની જરૂર નથી. 39 હોસ્પિટલમાં વીજ પૂરવઠો ફરી શરૂ કરવાની કામગીરી શરૂ છે. 674 રસ્તાઓ બંધ થઈ ગયા હતા. જેમાં 562 રસ્તાઓ ચાલુ થયા અને 112 રસ્તાઓ ફરી કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે.