ગાંધીનગર: એસટી નિગમના કર્મયોગીઓના હિતમાં સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.  ચાલુ નોકરીએ અવસાન પામનાર કર્મયોગીના પરિવારને 14 લાખની સહાય મળશે.  રાજ્ય સરકાર અવસાન પામનારા કર્મચારીના પરિવારના આશ્રિતને સહાય ચૂકવશે. વર્ગ-3 અને 4ના કર્મયોગીના આશ્રિત પરિવારોને સરકાર સહાય ચૂકવશે. 


24 સપ્ટે. 2022 કે ત્યારબાદના અવસાનના કિસ્સામાં આશ્રિત પરિવારને સહાય મળશે. અગાઉ આ પ્રકારના નિયમિત કર્મીઓના કિસ્સામાં 4થી 6 લાખ રૂપિયાની સહાય મળતી હતી. ફિક્સ પેના કર્મીઓના આશ્રિત પરિવારોને પણ 4 લાખની ઉચ્ચક સહાય મળતી હતી.


રાજ્ય સરકારના આ નિર્ણયથી નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ -3 અને વર્ગ -4ના કર્મચારીઓના તારીખ 24 સપ્ટેમ્બર 2022 કે ત્યારબાદ ચાલુ નોકરી દરમિયાન અવસાનના કિસ્સામાં સ્વર્ગસ્થ કર્મચારીના આશ્રિત કુટુંબને રુપિયા 14 લાખની ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવાની રહેશે, આ ઉપરાંગ વિવિધ કચેરીઓ ખાતે નિયુક્ત કરાયેલ પાંચ વર્ષીય ફિક્સ પગારની કરારીય સેવાના વર્ગ-3 અને વર્ગ-4ના અવસાન પામેલ કર્મચારીઓના આશ્રિત કુટુંબને રુપિયા 14 લાખ ઉચ્ચક નાણાકીય સહાય ચૂકવવામાં આવશે.  


ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના નિયમિત ધોરણે નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલા વર્ગ-3 અને વર્ગ-4ના કર્મચારીઓ અને પાંચ વર્ષની ફિક્સ કરારીય સેવામાં નિમણુંક પામેલ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન તારીખ 12 ઓક્ટોબર 2023 કે ત્યારબાદ અવસાન પામનાર વર્ગ -3 અને વર્ગ- 4ના 153 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 21 કરોડથી વધુની સહાય આપવામાં આવશે.


જૂની યોજના પ્રમાણે 124 કર્મચારીઓના આશ્રિત કુટુંબોને રાજ્ય સરકાર દ્વારા 5 કરોડ 32 લાખની સહાય કરવામાં આવી છે, અને બાકીની સહાય પણ ટૂંક સમયમાં આપવામાં આવશે, એમ ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.


થોડા દિવસો પહેલા મોંઘવારી ભથ્થામાં કર્યો હતો વધારો 


ગુજરાત સરકારે ST નિગમના કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો હતો. ST નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.  હવે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા સાથે 50 ટકા મોંઘવારી ભથ્થું ચૂકવાશે. આ મોંઘવારી ભથ્થામાં એરિયર્સની ચૂકવણી કરવાનો મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો. એસ ટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરી હવેથી 50% મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. 


એસ ટી નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી


આ ભથ્થાના વધારાની જાહેરાત થતાં એસ ટી નિગમના કર્મચારીઓમાં ખુશી જોવા મળી હતી.  આ મોંઘવારી ભથ્થું કયા મહિનાથી આપવામાં આવશે તે અંગે ચોક્કસ જાહેરાત કરવામાં આવી નથી પરંતુ જે અંગે અને કેટલીક સ્પષ્ટતા સાથે ટૂંક સમયમાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા પરિપત્ર બહાર પાડી જાણ કરવામાં આવશે તેમ જણાવાયું હતું.