અમદાવાદ: ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી ખેડૂતોથી લઈને સામાન્ય લોકો મોંઘવારીનો સામનો કરી રહ્યા છે. કોરોનાકાળમાં લોકોને ઘણા હાલાકી ભોગવી છે. જેમ કોરોનાકાળમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવમાં વધારો થયો હતો તેની અસર ખાતરના ભાવમાં પણ પડી હતી, ખેડૂતોને ખાતર મેળવવા ઘણી હાલાકી સહન કરવી પડી હતી ઉપરાંત ઉંચા ભાવ પણ આપવા પડ્યા હતા. હવે ફરીવાર ખેડૂતો પર મોંઘવારીનો માર પડશે તેવું નિવેદન ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ આપ્યું છે.


સંઘાણીએ કહ્યું કે પહેલા ખાતરમાં ભાવ વધારો કોરોનાને કારણે આવ્યો હતો હવે ભાવ વધારો લડાઈના કારણે આવ્યો છે. જે  ખાતરનો ગઈ જાન્યુઆરીમાં 300 યૂએસ ડોલર ભાવ હતો તે હાલમાં 1200 યૂએસ ડોલર કરત વધારે છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, કોઈને નહીં પોશાય તેવો ખાતરમાં ભાવ વધારો આંતરરાષ્ટ્રીય લેવલે થઈ ચૂક્યો છે. તેમણે આગળ કહ્યું કે, જ્યારે 300 યૂએસ ડોલર ભાવ હતો ત્યારે દેશમાં 750 રૂપિયા પર બેગ સબસિડી હતી અને યૂરિયાની બેગ 250 રૂપિયામાં મળતી હતી ત્યાર બાદ તે બેગ જ્યારે સરકારને 4000 રૂપિયામાં પડી ત્યારે 3730 સબસિડી આપે છે ત્યારે ખેડૂતોને તે બેગ 267 રૂપિયામાં પડે છે. તેથી ખેડૂતોએ ખાતરનો ઉપયોગ યોગ્ય રીતે કરવો જોઈએ તેવી ટકોર સંઘાણીએ કરી છે.


નોંધનિય છે કે, જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે ત્યારે ઘણી વસ્તુઓના ભાવવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય લેવલે તેની ખરાબ અસર છે. અમેરિકાએ રશિયા પર ઘણા પ્રતિબંધો પણ લગાવ્યા છે. ખાતરની સાથે સાથે આવનારા સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ મોટો વધારો થશે તેની પણ આશંકા છે. હાલમાં દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયા ઉપર વેંચાઈ રહ્યું છે. તેથી જો હવે ખાતરના ભાવમાં વધુ વધારો આવશો તો ખેડૂતોને બમણો માર સહન કરવો પડશે.


રાજનીતિ અંગે પણ આપ્યું નિવેદન


જ્યારથી નરેશ પટેલ રાજકારણમાં આવવાની ચર્ચા શરૂ થઈ છે ત્યારથી અનેક મહાનુભવો તેને લઈને પ્રતિક્રિયા આપી ચૂક્યા છે. હવે આ કડીમાં ભાજપના દિગ્ગજ નેતા દિલિપ સંઘાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે રાજકરાણમાં જવુ કે ન જવું તે નરેશ ભાઈનો વ્યક્તિગત સવાલ હોય છે, સમાજ કોઈ સામુહિક નિર્ણય લેતો નથી. દિલિપ સંઘાણીએ આગળ કહ્યું કે, ઘણા લોકો કહેતા હોય છે કે, મારી તો રાજકારણમાં આવવાની ઈચ્છા નહોતી પરંતુ સમાજે કીધું એટલે રાજકારણમાં આવ્યો. જોકે સમાજ ક્યારેય કોઈને કહેતો નથી. સમાજના નામે રાજકારણ કરવાને બદલે રાષ્ટ્રના હિતમાં રાજકારણ કરવું જોઈએ. તેમણે આગળ કહ્યું કે, લેઉવા પટેલની સૌથી જુની સંસ્થાનો હું પ્રમુખ છું. 


દિલિપ સંઘાણીએ હાર્દિક પટેલનું ઉદાહરણ આપતા કહ્યું કે, હાર્દિક પટેલે પણ સમાજના નામે રાજકારણ કર્યું છે. આજે તેમની હાલત કેવી છે તે સૌ કોઈ જાણે છે તેથી નરેશ ભાઈની હાલત પણ હાર્દિક જેવી ન થાય તો સારૂ. તેમણે આગળ કહ્યું કે, એક લેઉવા પટેલની સંસ્થાના પ્રમુખ તરીકે હું નરેશ પટેલ માન આપું છું પરંતુ રાજકારણમાં જોડાવું તેનો અંગત મત છે. આમ જોઈએ હાર્દિક પટેલે પણ પહેલા એવું જ કહ્યું હતું કે હું રાજકારણમાં જોડાઈશ નહીં પરંતુ પાછળથી તેઓ કોંગ્રેસમાં જોડાયા. જો કે હાર્દિક પટેલના આવવાથી કોંગ્રેસને કોઈ મોટો ફાયદો થયો હોય તેવું હાલમાં તો લાગતું નથી. કારણ કે કોઈ મોટી ચૂંટણી જીતાડવામાં તેમણે કોઈ મોટી ભૂમિકા નિભાવી નથી. આ ઉપરાંત હાર્દિક પટેલનું પ્રભુત્વ પણ કોઈ ખાસ દેખાતું નથી. આ વર્ષના અંતમાં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેને લઈને બધી પાર્ટીઓ કમરકસી રહી છે. આ વખતે ગુજરાતમાં ત્રીપાખીયો જંગ થશે. કારણ કે, પંજાબમાં મળેતી જીત બાદ આમ આદમી પાર્ટી ઘણા જોશમાં છે. તેથી ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. આપ અને કોંગેસ બન્ને ઈચ્છી કરી છે તેમની પાર્ટીમાં કોઈ મોટો પાટિદાર ચહેરો આવે. નરેશ પટેલનું લેઉવા પટેલમાં ઘણું મહત્ત્વ છે જો કે રાજકારણમા આવ્યા પછી તેમને કેટલું સમર્થન મળે છે તે જોવું રહ્યું. કારણ કે પાટિદાર આંદોલન સમયે હાર્દિકને સમર્થન મળ્યું હતું પરંતુ રાજકારણમાં આવ્યાં બાદ તેમને જોઈ તેટલી સફળતા મળી નથી.