અમદાવાદઃ ગુજરાતમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે ત્યારે હવામાન વિભાગે વિધિવત ચોમાસાને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં 21 જૂનની આસપાસથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે. નૈઋત્યના ચોમાસાનો દક્ષિણ ગુજરાતથી પ્રારંભ થશે. જોકે આ પહેલાં જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે.


હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં જૂનના ત્રીજા સપ્તાહમાં મેઘરાજાનું વિધિવત્ આગમન થશે. નૈઋત્યના ચોમાસાનો 1 જૂનથી કેરળમાં પ્રારંભ થયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'મધ્ય અરેબિયન સમુદ્રમાં કર્ણાટક-તામિલનાડુ-પોડ્ડેચેરી-કેરિકલ તરફ નૈઋત્યનું ચોમાસું આગળ વધવા લાગ્યું છે. તે હવે આગામી બે દિવસમાં પશ્ચિમમધ્ય બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. ' ગુજરાતમાં આ વખતે ચોમાસું સાનુકૂળ રહે તેવી પણ હવામાન વિભાગની આગાહી છે.

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડશે. આગામી પાંચ દિવસ જ્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, ડાંગ, તાપી,નર્મદા, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, કચ્છ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, જુનાગઢનો મુખ્યત્વે સમાવેશ થાય છે. અમદાવાદમાં બે દિવસ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની સંભાવના રહેશે.