Gujarat Assembly Elections 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે મોટા ધંધા વેપાર સાથે સંકળાયેલા વેપારી વર્ગ માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે. ખાસ સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલ હોલસેલ અને રિટેલ વેપારીઓ માટે પાર્સલની લેવડદેવડ કરવી એ માથાના દુખાવા સમાન બની છે. ચૂંટણીમાં બેનામી અને ગેરકાયદેસર વ્યવહારો ન થાય તેનું ધ્યાન રાખવા માટે સ્થાનિક સ્તરે ચૂંટણી પંચ કામ કરી રહ્યું છે. જેને વેપારીઓ પણ સહયોગ આપી રહ્યા છે,  પરંતુ કેટલાક સ્થાન ઉપર એવા કિસ્સા સામે આવ્યા છે કે આંગણીયા પેઢીના કર્મચારીઓને તપાસમાં કનડગત ભોગવવાનો વારો આવે છે. 


જેથી આંગડિયા પેઢીના સંચાલકો દ્વારા હાલ ચૂંટણી સુધી લેવડ-દેવડ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરિણામે વેપારીઓએ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લઈને હવે મોટા ધંધા વેપાર કરતા લોકો માટે રોકડ રકમ અને સોના ચાંદીના પાર્સલની લેવડદેવડની બાબત પડકારજનક બની છે. એક અંદાજ પ્રમાણે  અમદાવાદમાં 100 જેટલા આંગડિયા પેઢી કાર્યરત છે. અમદાવાદમાં 30 થી 40 કરોડ દૈનિક ધોરણે લેવડદેવડ થતી હોય છે.


મોરબી દુર્ઘટનાના આઠ આરોપીની જામીન અરજીને લઈને કોર્ટે આપ્યો મોટો નિર્ણય


ઝૂલતા પૂલ દુર્ઘટનાના આઠ આરોપીની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે જ્યારે એક પેન્ડિંગ છે. મોરબી સેસન્સ કોર્ટમાં સુનવણી બાદ અરજી નામંજૂર કરવામાં આવી છે. ઓરેવા કંપનીના મેનેજર સહિતના આઠ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. જ્યારે એક આરોપીની જામીન અરજી પેન્ડિંગ રાખવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, 135 લોકોનો ભોગ લેનાર ઘટનામાં મોરબી કોર્ટે આરોપીઓને જામીન ન આપતા તમામ હાલમાં જેલમાં જ રહેશે.


ખૂંખાર કેદીઓના સહારે ભાજપ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યો છે


ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરે બનાસકાંઠાના કાંકરેજ વિધાનસભા બેઠકમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો. જગદીશ ઠાકોરે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે ભાજપ જેલમાં ખૂંખાર કેદીઓ સાથે બેઠક કરી રહ્યો છે. ખૂંખાર કેદીઓના સહારે ભાજપ ચૂંટણી જીતવાના પ્રયાસ કરી રહ્યો છે. જેલમાં કેદી સાથે ભાજપ મીટિંગ કરે છે. ચૂંટણી જીતવા માટે ભાજપ કેદીઓને પેરોલ પર છોડે છે. બનાસકાંઠાની કાંકરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા અમૃત ઠાકોરના સમર્થનમાં તેમના મોટાભાઈ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોરએ જંગી જાહેર સભાને સંબોધી હતી. ભાજપ પર આકરા પ્રહારો કરી તેમના ભાઈ અમૃત ઠાકોરને જીતાડવા આહવાન કર્યું હતું.


સરદાર પટેલનું નામ લઈ અમિત શાહે કોંગ્રેસ પર કર્યા પ્રહારો


ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક બાદ એક સભા ગજવી રહ્યા છે. આજે અમિત શાહે  સુરત વિસ્તારમાં સભાઓ ગજવી હતી. કડોદરા ખાતે અમિત શાહ જનસભા સંબોધી હતી. અકળામુખી હનુમાનજીના દર્શન કરી સ્ટેજ પર પહોંચ્યા  હતા ગૃહમંત્રી. આ દરમિયાન તેમણે સિક્યુરિટીને કહ્યું કે, ચેક કરવાની જરૂર નથી બધા આપણા જ લોકો છે. યુવા મિત્રોને જીગરના ટુકડા કહી સંબોધન કર્યું હતું.


તેમણે કહ્યું કે, આજે બારડોલીની ધરતી પર આવ્યો છું.  બારડોલીનું નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. આ ખમીરવંતી ભૂમિ પર વલ્લભ ભાઈ ઝવેર ભાઈ પટેલને સરદાર બનાવવાનું કામ કર્યું. કોઈક ને પદ્મ શ્રી મળે કોઈને પદ્મ ભૂષણ મળે, આજે પણ સરદાર સાહેબ લોકોના હૃદયમાં છે. સરદાર સાહેબને ઇતિહાસમાંથી મીટાવવા કોંગ્રેસીયાઓએ કોઈ કસર નથી છોડી. સમય બદલાયો નહેરુ ગાંધી પરિવાર ની સરકાર ગઈ. કોંગ્રેસીયાઓ જ્યારે જ્યારે ચૂંટણી આવે સરદાર સાહેબનું નામ વટાવા આવે છે.