રાજ્યમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. રાજ્યમાં 10 મહિના બાદ સતત ત્રીજા દિવસે કોરોનાના 250થી ઓછા કેસ નોંધાયા છે. તો સતત પાંચમાં દિવસે કોરોનાથી 24 કલાકમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે.


સતત 65માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.56 ટકા થયો છે. તો રાહતના સમાચાર એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 9 જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નથી નોંધાયો. જેમાં અમરેલી, અરવલ્લી, ભરૂચ, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, પાટણ, પોરબંદર અને તાપી જિલ્લાનો સમાવેશ થાય છે..

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 353 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. તેની સાથે કુલ ડીસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા 2,57,473 પર પહોંચી છે. રાજ્યમાં હાલ 2040 એક્ટિવ કેસ છે, જેમાંથી 24 લોકો વેન્ટિલેટર પર અને 2016 લોકો સ્ટેબલ છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું હતું. કોરોનાથી કુલ મૃત્યુઆંક 4397 પર પહોંચ્યો છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા

રાજ્યમાં આજે વડોદરા કોર્પોરેશનમાં 60, અમદાવાદ કોર્પોરેશનમાં 43, રાજકોટ કોર્પોરેશનમાં 29 , સુરત કોર્પોરેશનમાં 29, વડોદરામાં 10, આણંદ 7, સુરત 7, ગાંધીનગર કોર્પોરેશન 5, રાજકોટ 5, નર્મદા 4 અને ગાંધીનગરમાં 3 કેસ નોંધાયા હતા.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં અત્યાર સુધી 6,60,516 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 56,332 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણની શરુ કરવામાં આવી હતી.