ગાંધીનગરઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશમાં સ્કૂલો ખોલવાની મંજૂરી આપી દીધી છે પણ ગુજરાત સરકારે હમણાં સ્કૂલો નહીં ખોલવાનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં ક્યારે સ્કૂલો ખૂલશે એ અંગે અટકળો ચાલી રહી છે ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે કે, કોરાનાના કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે પણ ક્યારેક ને ક્યારેક શાળાઓ શરૂ કરવી જ પડશે. તેમણે કહ્યું કે, હવે એ તબક્કો નજીક છે કે ક્યારે શાળાઓ શરૂ કરવી તે અંગેનો નિર્ણય લેવો પડે. જો કે સરકાર એકતરફી નિર્ણય નહીં લે અને આરોગ્ય વિભાગનો અભિપ્રાય અમે મેળવી રહ્યાં છીએ. આરોગ્ય વિભાગના અભિપ્રાયના આધારે કેબિનેટમાં આ મુદ્દાની ચર્ચા કરીશું. આ ઉપરાંત શાળા શરૂ કરવા સરકાર એકતરફી નિર્ણય નહીં કરે અને શિક્ષણ સાથે જોડાયેલા તમામ લોકો સાથે ચર્ચા કરીને નિર્ણય કરશે.


કોરોનાના કારણે લોકોમાં ફફડાટનો માહોલ છે અને વાલીઓમાં સ્કૂલો ખોલવા અંગે ભારે ઉત્સુકતા છે. આ માહોલમાં વિજય રૂપાણી સરકારે ધોરણ 1 થી ધોરણ 5ના બાળકો માટે દિવાળી પછી પણ શાળા નહીં ખોલવાનો નિર્ણય લીધો હોવાના સંકેત રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ રવિવારે આપ્યો હતો. શિક્ષણ મંત્રી ચુડાસમા અને શાળા સંચાલકો વચ્ચેના વેબીનારમાં ચુડાસમાએ એ પ્રકારના સંકેત આપ્યા હતા કે, ધોરણ 1 થી 5 સુધીના બાળકો માટે દિવાળી પછી પણ શાળાઓ નહિ ખુલે.

મળતી જાણકારી અનુસાર દિવાળી વેકેશન બાદ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો ફરીથી શરૂ કરાશે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોરણ 6 થી 8ના બાળકોને સ્કૂલમાં આવવાની છૂટ આપવા વિચારણા ચાલી રહી છે. ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડે જણાવ્યું હતું કે, પહેલા ચરણમાં 9 થી 12ની શાળાઓ શરૂ કરાશે. બાદમાં સ્થિતિ કાબૂમાં આવે તો નાના વર્ગો ખોલવા પર વિચારણા કરવામાં આવશે.