Surendranagar Bridge Collapsed: સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના વસ્તડી અને ચુડાને જોડતો ભોગાવો નદી પરનો બ્રિજ ધડામ થવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. 35થી 40 વર્ષ પૂર્વે બનાવાયેલો આ બ્રિજ છેલ્લા થોડા સમયથી જર્જરિત બન્યો હતો. ક્ષતિગ્રસ્ત બ્રિજનું તાત્કાલિક સમારકામ કરવા વસ્તડી ગામના સરપંચે પ્રશાસનને લેખિત તેમજ મૌખિક જાણ કરી હતી. જોકે પ્રશાસનને કોઈ ગંભીરતા ન દાખવતા રવિવારના પુલ પરથી એક માટી ભરેલુ ડમ્પર અને બે બાઈક સવારો પસાર થઈ રહ્યા હતા ત્યારે ઓચિંતા જ બ્રિજ ધડામ થઈને તૂટી પડ્યો હતો. વારંવારની રજૂઆત બાદ પ્રશાસન તરફથી ક્ષતિગ્રસ્ત બ્રિજ પર અવર-જવર બંધ કરવાના બદલે માત્ર ચેતવણી આપતું બોર્ડ લગાવી કામગીરી કર્યાનો સંતોષ માની લીધો હતો.


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ચુડાને જોડતો પુલ ધરાશાયી થયો હોવાની ચોકાવનારી હકીકત સામે આવી છે. જેમાં પુલ પરથી ડમ્પર પસાર થતુ હતુ, તે દરમિયાન એક ભાગ ધરાશાયી થયો હતો. જેમાં ડમ્પર તેમજ બે બાઇક પણ નીચે પટકાયા હતા અને પુલ ધરાશાયી થતાં ડમ્પરના ચાલક સહીત ચારથી વધુ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતાં તાકીદે હોસ્પિટલ ખસેડાયા હતા.


20 દિવસ પહેલા પણ વસ્તડી પુલનો કેટલોક ભાગ તૂટ્યો હતો. રીપેરીંગ દરમિયાન પુલની પાળી તૂટી હતી. તે સમયે પુલની પાળી તૂટતાં 3 શ્રમિકો નદીમાં પટકાયા હતા અને 3 શ્રમિકોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હતી. જોકે દુર્ઘટના બાદ પણ સુરેન્દ્રનગરનું પ્રશાસન ઊંઘતું રહ્યું અને આખરે જર્જરિત બ્રિજ તૂટી ગયો.


ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા


આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. પૂલ તૂટવાની ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા  તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું  રેસ્ક્યૂ કરાયું હતું. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.  


ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું


સ્થાનિક લોકો દ્વારા તંત્રને જાણ કરતા ડમ્પરમાં સવાર 4 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે છેલ્લા ઘણાં સમયથી બ્રિજ નવો બનાવવા માટે રજુઆત કરવામાં આવી રહી હતી. પરંતું તંત્રએ માત્ર સમારકામ કરીને સંતોષ માની લીધો હતો. એટલું જ નહીં યોગ્ય સમારકામ ન થતા બ્રિજ ધરાશાયી થયા હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે.