ગુજરાતના ક્યા વિસ્તારમાં 30 મે આસપાસ એમ્ફાન જેવું વાવાઝોડું ત્રાટકવાની શક્યતા ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 May 2020 09:57 AM (IST)
ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે, એમ્ફાન વખતે જેવી વાતાવરણિય સ્થિતિ હતી એવી જ સ્થિતિ અત્યારે અરબ સાગરમાં ઉભી થઈ રહી છે.
અમદાવાદઃ પશ્ચિમ બંગાળ અને ઓડિશા પર ત્રાટકેલા એમ્ફાન વાવાઝોડાંની વિનાશક અસરમાંથી દેશ બહાર નથી આવ્યો ત્યાં વધુ એક વાવાઝોડાનો દેશ પર ખતરો છે. અરબી સમુદ્રમાં પેદા થનારું આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્ર પર ત્રાટકે તેવી શક્યતા છે. ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં આ વાવાઝોડું 30 મેની આસપાસ ત્રાટકે તેવી શક્યતા છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે, એમ્ફાન વખતે જેવી વાતાવરણિય સ્થિતિ હતી એવી જ સ્થિતિ અત્યારે અરબ સાગરમાં ઉભી થઈ રહી છે.આ સ્થિતિ આગળ વધશે તો ચક્રવાત-વાવાઝોડાંનું સર્જન થઈ શકે છેઆ વાવાઝોડું કદાચ 30 મેની આસપાસ વધારે મોટાં સ્વરૂપે જોવા મળે અને ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. આ વાવાઝોડું ત્રાટકશે તો ભારે વરસાદ અને ભારે પવન પણ ફૂંકાશે તેથી વિનાશ વેરાવાની શક્યતા છે. સ્કાયમેટના જણાવ્યા પ્રમાણે, અત્યારે અરબી સમુદ્રમાં કોઈ ડિપ્રેશન નથી પણ દક્ષિણ-પૂર્વ અરબી સાગરમાં સાયકલોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે. આ સ્થિતિના કારણે હળવા દબાણનું ક્ષેત્ર પેદા થઈ શકે છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે જ થોડા સમય પહેલા એમ્ફાન પેદા થયું હતું. એમ્ફાન 15 મેની આસપાસ સક્રિય થયું હતું અને આગળ વધી શક્તિશાળી સુપર સાઈકલોનમાં ફેરવાયું હતું.