અમદાવાદઃ એમ્ફાન વાવાઝોડાની અસર હજુ પણ છે ત્યારે વધુ એક વાવાઝોડું ત્રાટકવાની તૈયારીમાં છે. આ વખતે વાવાઝોડું અરબ સાગરમાંથી પેદા થાય એવી શક્યતા ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે.


સ્કાયમેટના રિપોર્ટ પ્રમામે જો જો સ્થિતિ આગળ વધશે તો ચક્રવાત-વાવાઝોડાંનું સર્જન થઈ શકે છે. થોડા સમય પહેલા કોચિન સ્થિત કોચિન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના સંશોધકોએ પણ એવુ તારણ રજૂ કર્યું હતું કે છેલ્લા ૬૦ વર્ષમાં અરબ સાગરમાં ચોમાસા પૂર્વેની વાવાઝોડાંની ગતિવિધિ સતત વધી  છે. આ વાવાઝોડું કદાચ ૩૦મી મેની આસપાસ વધારે મોટાં સ્વરૂપે જોવા મળે અને ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે.

સ્કાયમેટના પ્રેસિડેન્ટ મહેશ પાલવતે જણાવ્યું હતું કે અત્યારે અરબ સાગરમાં કોઈ ડિપ્રેશન નથી. પરંતુ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં સાઈકલોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે. આ સ્થિતિ હળવા દબાણનું ક્ષેત્ર પેદા થઈ શકે છે. આવી સ્થિતિને કારણે જ થોડા સમય પહેલા એમ્ફાન પેદા થયું હતું.

તેમણે જણાવ્યું હતું કે જુનના આરંભા ગુજરાત-મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા તો છે જ. બંગાળના અખાત કરતાં અરબ સાગરમાં ઓછા વાવાઝોડાં પેદા થાય છે. જોકે આ વાવાઝોડું સર્જાય તો પણ ગુજરાત-મહારાષ્ટ્રના કાંઠે વરસાદ વરસાવી ઓમાન તરફ ફંટાઈ જાય એવી શક્યતા પણ છે.

એમ.એસ.યુનિ. દ્વારા 'વાતાવરણની અસરથી હવામાનમાં થતા ફેરફાર' વિશે વેબિનાર યોજાયો હતો જેમાં પણ ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાવાની વાત કહેવામાં આવી હતી જોકે ક્યાં ત્રાટકશે તેની કોઈ આગાહી કરવી હાલમાં અશક્ય છે.