ગાંધીનગર: દરેક રાજ્યમાં શહેરી ઉપરાંત ગ્રામ્ય નાગરિકો અને દુર્ગમ વિસ્તારોમાં પણ આરોગ્યસેવાઓ સરળતાથી પહોંચે ત્યારે જ ખરા અર્થમાં સ્વસ્થ ભારતનું નિર્માણ શક્ય છે. સ્વસ્થ ભારતના નિર્માણ માટે સ્વસ્થ નાગરિક અને સ્વસ્થ સમાજની રચના અતિઆવશ્યક છે. આયુષ્માન ભારત યોજના હેઠળ દેશના તમામ રાજ્યોમાં હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં 9610 આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા છે, અને આ સાથે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સની સંખ્યામાં ગુજરાત દેશના અગ્રણી રાજ્યોમાંનું એક રાજ્ય છે. 
 
ઉલ્લેખનીય છે કે આયુષ્માન ભારત એ સમાન, સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ તમામ સુધી પહોંચી શકે તે માટેનું એક પ્લેટફોર્મ છે, જે લોકોની જરૂરિયાતોની દરકાર કરે છે. આ પ્લેટફોર્મ હેઠળ સ્થાપિત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર નાગરિકોને તેમના ઘરઆંગણે વ્યાપક પ્રાથમિક આરોગ્ય સંભાળ પૂરી પાડે છે, અને આ રીતે બીમારી, મૃત્યુદર અને આરોગ્ય સંભાળ માટેના લોકોના ખર્ચમાં પણ ઘટાડો કરે છે. 


રાજ્યમાં 9610 આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત


ઓગ્સ્ટ, 2023 સુધીમાં ગુજરાત રાજ્યમાં 9610 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ કાર્યરત છે, જેમાં 7419 સબ સેન્ટર – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (SC - HWC), 1469 પ્રાઇમરી હેલ્થ સેન્ટર – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (PHC - HWC), 374 અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર – હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (UPHC – HWC), 101 અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (UHWC) અને 247 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર (AYUSH HWC) નો સમાવેશ થાય છે.  આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (AB - HWC) હેઠળ આપવામાં આવતી આરોગ્ય સંભાળની સેવાઓ, આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ નીચે મુજબની બેઝિક આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવામાં આવે છે: 


1. ગર્ભાવસ્થા અને બાળકના જન્મ સમયે સ્વાસ્થ્ય સંભાળ
2. નવજાત અને શિશુ આરોગ્ય સંભાળ સેવાઓ
3. બાળપણ અને કિશોરાવસ્થાની આરોગ્ય સંભાળ સેવાઓ
4. કુટુંબ નિયોજન, ગર્ભનિરોધક સેવાઓ અને અન્ય પ્રજનન સંબંધિત સ્વાસ્થ્ય સંભાળ સેવાઓ
5. ચેપી રોગોનું સંચાલન: નેશનલ હેલ્થ પ્રોગ્રામ્સ
6. ગંભીર પણ સરળ બીમારીઓ (એક્યુટ સિમ્પલ ઇલનેસ) અને નાની બીમારીઓ માટે જનરલ આઉટ-પેશન્ટ કેર 
7. બિનચેપી રોગો અને ક્રોનિક ચેપી રોગોનું સ્ક્રીનીંગ, નિવારણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન જેવાં કે, ક્ષયરોગ અને રક્તપિત્ત


વધારાની આરોગ્ય સંભાળ સેવાઓ


8. બેઝિક ઓરલ એટલે કે મોંઢાની આરોગ્ય સંભાળ સેવાઓ
9. સામાન્ય ઓપ્થાલ્મિક (આંખ સંબંધિત) અને ENT સમસ્યાઓ માટે આરોગ્ય સંભાળ
10. વૃદ્ધો માટે અને પેલિયેટિવ એટલે કે ઉપશામક આરોગ્ય સંભાળ સેવાઓ
11. બર્ન્સ અને ટ્રોમા સહિતની ઇમરજન્સી મેડિકલ સેવાઓ
12. માનસિક બીમારીઓનું સ્ક્રીનિંગ અને બેઝિક મેનેજમેન્ટ


આજની જીવન શૈલી પ્રમાણે તંદુરસ્ત જીવન માટે વેલનેસ પ્રવૃત્તિના ભાગરૂપે યોગને પણ આવરી લેવામાં આવેલ છે. હાલ તમામ કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ બેઝિત તમામ 7 આરોગ્ય સંભાળ સેવાઓ નાગરિકોને પૂરી પાડે છે અને માર્ચ 2024 સુધીમાં તમામ 12 સેવાઓનું પેકેજ પ્રદાન કરવાનું આયોજન પ્રતિબદ્ધતાપૂર્વક કરવામાં આવી રહ્યું છે. 


મહીસાગર જિલ્લામાં ભારતનું પ્રથમ NQAS પ્રમાણિત સબ સેન્ટર


મહીસાગર જિલ્લાના ડોકલેવમાં ભારતનું સર્વ પ્રથમ નેશનલ ક્વૉલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (NQAS) પ્રમાણિત સબ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે. રાજ્યમાં હાલ કુલ 297 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર NQAS પ્રમાણિત છે. તેમાંથી 38 સબ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટ છે, જે રાષ્ટ્રીય સ્તરે સૌથી વધારે છે. 


રાજ્યના પ્રવાસન સ્થળોએ મોડલ HWCs નો વિકાસ


ગુજરાતભરના પ્રવાસન સ્થળોએ મોડલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ (HWCs) વિકસિત કરવામાં આવી રહ્યા છે. ગિર સોમનાથ જિલ્લામાં હાલ રામરેચી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર કાર્યરત છે. અન્ય જિલ્લાઓના પ્રવાસન સ્થળોએ પણ મોડલ HWCs  વિકસિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે, જેમકે નર્મદા, મહીસાગર અને નવસારી જિલ્લાઓ. 


12.21 કરોડથી વધુ લોકોએ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સની મુલાકાત લીધી


અત્યારસુધીમાં 12.21 કરોડથી વધુ લોકોએ રાજ્યના 9610 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સની મુલાકાત લીધી છે. પ્રાઇમરી હેલ્થ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં દરરોજ સરેરાશ 36 લોકો, અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં દરરોજ સરેરાશ 66 લોકો અને સબ સેન્ટર-હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં દરરોજ સરેરાશ 11 લોકો મુલાકાત લે છે.  સબ સેન્ટર કક્ષાએ મિડ-લેવલ હેલ્થ પ્રોવાઈડર તરીકે કુલ 7506 સામુદાયિક આરોગ્ય અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, અત્યાર સુધીમાં 15 લાખથી વધુ વેલનેસ સેશન્સ યોજવામાં આવ્યા છે, જેમાં 1.20 કરોડથી વધુ લોકોએ ભાગ લીધો છે. 


ઇ-સંજીવની OPDની મદદથી 54 લાખથી વધુ ટેલી કન્સલ્ટેશન 


હવે ઇ-સંજીવની OPDની મદદથી, દર્દીઓ ઓનલાઈન આરોગ્ય સલાહ મેળવી શકે છે. તેનાથી ઘણો સમય અને નાણાની બચત થઈ રહી છે. આ સેવાની મદદથી વર્ષ 2020થી નાગરિકો ઘરે બેસીને તબીબો પાસેથી આરોગ્યની સલાહ મેળવી રહ્યા છે. રાજ્યના કુલ 54,19,027 થી વધુ નાગરિકોએ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર (CHO)/ તબીબો દ્વારા ઇ-સંજીવની પોર્ટલની મદદથી ટેલી કન્સલ્ટેશનનો લાભ મેળવ્યો છે.