IndiGo Flight : ગુજરાતના અમદાવાદમાં ઈન્ડિગોનું એક વિમાન લેન્ડિંગ દરમિયાન અકસ્માતનો શિકાર બનતા બનતા રહી ગયું હતું. આજે ગુરુવારે એક ઈન્ડિગો ફ્લાઈટને ટેઈલ સ્ટ્રાઈકનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઈટ બેંગલુરુથી અમદાવાદ આવી રહી હતી જેનું સુરક્ષિત ઉતરાણ થયું હતું અને તેને ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવી હતી. ફ્લાઈટમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોએ આ મામલે વિગતવાર તપાસના આદેશ આપ્યા છે.


ઈન્ડિગોએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, બેંગ્લોરથી અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595 અમદાવાદમાં ઉતરતી વખતે ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. જરૂરી ચકાસણી અને રિપેરિંગ માટે વિમાનને અમદાવાદ એરપોર્ટ પર ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું હતું. એરલાઈન્સે કહ્યું હતું કે, સંબંધિત અધિકારીઓ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.


ટેઈલ સ્ટ્રાઈક એટલે શું? 


ટેલ ટ્રાઈક એટલે વિમાન જ્યારે એરપોર્ટ પર ઉતરાણ એટલે કે લેન્ડ કરે ત્યારે વિમાન જમીન સાથે અથડાય જાય છે. ખાસ કરીને વિમાનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાય જાય છે ત્યારે તેને ટેઈલ સ્ટ્રાઈક કહેવામાં આવે છે. આ પ્રકારની ઘટનામાં વિમાનને નુકશાન પહોંચે છે. 


તાજેતરમાં ઈન્ડિગોની ફ્લાઈટ સાથે આવી જ બીજી ઘટના બની હતી. 11 જૂને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે ઈન્ડિગો પ્લેનનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. ત્યાર બાદ એવિએશન સેફ્ટી રેગ્યુલેટર DGCAએ ઘટનાની તપાસના આદેશ આપ્યા હતાં. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના એક વરિષ્ઠ અધિકારીએ PTIને જણાવ્યું હતું કે, DGCAના આદેશ પર એરલાઈને ક્રૂ મેમ્બર્સને પણ ઉડાન ભરવા પર રોક લગાવી દીધી છે. ઈન્ડિગોએ એક નિવેદનમાં આ ઘટનાની પુષ્ટિ કરી હતી.


જમીન સાથે અથડાયા બાદ વિમાનનો પાછળનો ભાગ થયેલો ક્ષતિગ્રસ્ત


અધિકારીએ જણાવ્યું હતું કે, 11 જૂને ઈન્ડિગો એરક્રાફ્ટ A321 Neo કોલકાતાથી દિલ્હીની ફ્લાઈટ નંબર 6E-6183 આવી રહ્યું હતું અને દિલ્હીમાં ઉતરતી વખતે તેની પૂંછડીની બાજુ જમીન સાથે અથડાઈ હતી. ડીજીસીએના અધિકારીએ કહ્યું હતું કે, દિલ્હીમાં ઉતરાણ સુધી ફ્લાઇટ સામાન્ય હતી અને તેના રનવે 27ની નજીક પહોંચતી વખતે ક્રૂને સમજાયું કે તેઓ સામાન્ય કરતાં વધુ સમય લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, જમીન સાથે અથડાવાને કારણે વિમાનનો પાછળનો ભાગ ક્ષતિગ્રસ્ત થયો હતો.