હવામાન વિભાગ અનુસાર હજુ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્ય પર એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સારો એવો વરસાદ પડી શકે છે. ત્યારે દક્ષિણ ગુજરાતના માંડવી અને ડોલવણમાં આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં ડોલવણમાં 11.54 ઈંચ જ્યારે માંડવીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
માંડવી અને તાલાલામાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. તો અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. કેટલાક ગામોમાં તો લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વરસાદની વાત કરીએ તો તાપીના ડોલવણમાં આભ ફાટ્યું છે. અહીં 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક સ્થળો પર પાણી ભરાયા છે. તો છેલ્લા 24 કલાકમાં સુરતના માંડવીમાં 10 ઈંચ વરસાદ પડ્યો છે.
તાપીના વ્યારામાં સાડા સાત ઈંચ, સોમનાથના તાલાલામાં સાડા સાત ઈંચ વરસાદ નોધાયો છે અને તાપીના વાલોડમાં સાત ઈંચ વરસાદ પડ્યો છે. તો નવસારીના વાંસદામાં સાડા છ ઈંચ, ડાંગના વઘઈમાં પોણા છ ઈંચ, સુરતના બારડોલીમાં પણ પોણા છ ઈંચ વરસાદ પડ્યો છે.
જળ ત્યાં જમીનના આ દ્રશ્યો છે ગીર સોમનાથ જિલ્લાના જ્યાં વરસ્યો ધોધમાર વરસાદ. તાલાલામાં ખાબક્યો 7 ઈંચથી વધુ વરસાદ. દ્રશ્યો છે કોડીનાર શહેરના જ્યાં મેઘરાજા મન મૂકીને વરસતા કોડીનાર થયું પાણી-પાણી.
કોડીનાર બ્રિજ પર સિંગોડા નદીના પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદને લઈ કોડીનાર-સોમનાથ નેશનલ હાઈવે પર સોમેત નદીના પાણી ફરી વળ્યા હતાં. સરસ્વતી નદીમાં પૂર આવતા તાલાળા ગીરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં.
પ્રાચી તીર્થથી તાલાલા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. રસ્તા પર કમરસમા પાણી ભરાયા હતાં તો ખેતરો તળાવોમાં ફેરવાયા હતાં. ગીર જંગલમાંથી નીકળતી સરસ્વતી નદીએ રૌદ્ર રૂપ ધારણ કર્યું હતું. જાણે અફાટ દરિયો હોય તેમ તેના વહેણ વહી રહ્યા છે. માધવરાય મંદિર હજું પાણીમાં ગરકાવ છે.
મંદિરમાં ભગવાનની પ્રતીમા પર 20 ફૂટ ઉપરથી સરસ્વતી નદીનું પાણી વહી રહ્યું છે તો તાલાલાના જાંબુર ગામે હિરણ નદીના ધસમસતા પ્રવાહમાં સિદી યુવાનો જોખમી સ્ટંટ કરતાં દેખાયા. નદીના પાણીના પ્રવાહમાં સિદી યુવાનોએ ભૂસકા માર્યા.