રાજ્યમાં ઠંડીના ચમકારાના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે.


અમદાવાદ સહિત રાજ્યના 14 શહેરોમાં ઠંડીનો પારો 20 ડિગ્રીની આસપાસ પહોંચ્યો. 15.5 ડિગ્રી સાથે ગાંધીનગર-વલસાડમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 17.6 ડિગ્રીનો પારો નોંધાયો છે અને આગામી ચાર દિવસમાં ઠંડીનો પારો 18 ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે. રાજકોટ શહેરમાં લધુત્તમ તાપમાન 19.4 અને મહત્તમ 35.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના નિષ્ણાંતોનું કહેવું છે કે આ વર્ષે ભારતમાં સામાન્ય કરતાં વધારે ઠંડી પડી શકે છે.

કચ્છમાં આજે તાપમાનનો પારો ગગડ્યો હતો. નલીયામાં લધુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટમાં 18.7 ડિગ્રી અને ભુજમાં 20.5 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્રમાં કેશોદમાં 19.4, ભાવનગરમાં 19.9, અમરેલીમાં 19.1, દિવમાં 19.6, સુરેન્દ્રનગરમાં 19.5 ડિગ્રી, ભાવનગરમાં 20.6, વેરાવળમાં 22, દ્વારકામાં 23.5, ઓખામાં 24.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

નોંધનીય છે કે, ઉત્તરાખંડના પવિત્ર યાત્રાધામ બદરીનાથમાં ગયા સપ્તાહે થયેલી પહેલી હિમવર્ષા બાદ ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી. બદરીનાથ ધામમાં ઠંડી એટલી વધી ગઈ છે કે અનેક છોડવાઓ પર બરફ જામી ગયો. જોકે તીર્થયાત્રીઓ આ સિઝનની મજા માણતા જોવા મળી રહયા છે.