હવામાન વિભાગે રાજ્યમાં ફરી એક કાતિલ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. રાજ્યામં 24 જાન્યુઆરીથી ફરીથી કાતિલ ઠંડી પડવાની આગાવી કરવામાં આવી છે. જેમાં આ વખતે તાપમાનનો પારો ચાર ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા છે.


આગામી 24 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી વચ્ચે તાપમાનમાં ચાર ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. નલિયામાં ઠંડીનો પારો છ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. જ્યારે કેશોદમાં 9.8 ડિગ્રી, વલસાડમાં 10.5 ડિગ્રી, અમરેલીમાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 11.5 ડિગ્રી, રાજકોટમાં 12.2 ડિગ્રી, પોરબંદરમાં 12.2 ડિગ્રી, ડિસામાં 13 ડિગ્રી, દીવમાં 13 ડિગ્રી, ભૂજમાં 13.2 ડિગ્રી, સુરેંદ્રનગરમાં 14.5 ડિગ્રી, ભાવનગરમાં 15.9 ડિગ્રી, વડોદરામાં 16 ડિગ્રી અને સુરતમાં ઠંડીનો પારો 17.4 ડિગ્રી સુધી રહ્યો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે, બુધવારે રાત્રે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ સાધારણ રહ્યું હતું. આગામી બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાન ૨-૩ ડિગ્રી સુધી વધતા ઠંડીમાં ઘટાડો અનુભવાશે. જોકે, આ પછી ૩ દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ૩-૪ ડિગ્રીનો ઘટાડો નોંધાઇ શકે છે.

અમદાવાદમાં ૧૪ ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં ૧.૮ ડિગ્રી જ્યારે ૨૯.૯ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં ૨ ડિગ્રીનો વધારો થયો હતો. અમદાવાદમાં ૨૪થી ૨૬ જાન્યુઆરી દરમિયાન તાપમાન ૧૦ ડિગ્રી સુધી જઇ શકે છે.

સુરત શહેરમાં ગત અઠવાડિયે ઠંડી વિદાય લઈ રહી હોય તેમ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. પરંતુ હવે હવામાન વિભાગે ઠંડીના (Winter) વધુ એક રાઉન્ડની આગાહી કરી છે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બે દિવસથી ઉત્તરનો પવન ફૂંકાતા ફરી ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. આવનારા થોડાક દિવસ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું જોર વધશે.

અત્રે નોંધનીય છે કે, ભરૂચ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સૌથી લાંબા સમય સુધી ગાઢ ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસના પગલે જિલ્લામાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. જેમ કે વાહન ચાલકોને વાહન ચલાવવામાં ભારે તતલીફોનો સામનો કરવો પડ્યો હતો. આજ કારણોસર નર્મદા ચોકડી તેમજ ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાં વાહનચાલકોએ પોતાના વાહનો ઉભા કરી દીધા હતા.