જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલા મનપાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે બુધવારના એક દોઢ માસની બાળકીને પહેલી વખત પોલીયોની રસી અપાયા બાદ ગુરૂવારના તેની તબીયત લથડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરનાં તબીબે તેણીને મૃત જાહેર કરી હતી.


આરોગ્ય પ્રશાસને કરેલી પ્રારંભિક તપાસમાં રસીના લીધે બાળકીનું મોત ન થયાનું સામે આવ્યું છતાં બાળકીના મૃતદેહને પેનલ પીએમ માટે જામનગર ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી રિપોર્ટ આવ્યા બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.

જૂનાગઢના દોલતપરા વિસ્તારમાં આવેલા શાંતેશ્વર મંદિર પાસે રહેતા જયદીપભાઈ કિશોરભાઈ મકવાણાની દોઢ માસની પુત્રી વિશ્વાને દોલતપરામાં આવેલા મનપાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોલીયોની રસી આપવા લઈ જવામાં આવી હતી.

દોઢ માસની વય હોવાથી વિશ્વાને પ્રથમ વખત પોલીયોની રસી અપાઈ હતી. બાદમાં પરિવારજનો ઘરે લઈ ગયા હતા. જોકે ત્યારબાદ બાળકીને વિપરીત અસર થઈ હતી અને તબિયત લથડી હતી. ગુરૂવારે સાંજે આ બાળકીને ૧૦૮માં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી.