ગાંધીનગર: આગામી ત્રણ દિવસ ગુજરાતના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન વિભાગે બુધવાર અને ગુરૂવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આજે અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.


હવામાન વિભાગ દ્વારા આગામી 16 અને 17 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, તાપીમાં ભારે વરસાદ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દિવ, જૂનાગઢ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતની દરિયા સીમમાં આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. જેથી બુધવારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લો તથા દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે ગુરૂવારે પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ તેમજ રાજકોટ, જામનગર, અમરેલી અને ભાવનગર જિલ્લાનાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

મહત્વની વાત એ છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ત્રણ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી 30 ટકા વરસાદ નોંધાયો છે.