અમદાવાદ: હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, ચક્રવાત નલિયાથી 360 કિલોમીટર આગળ વધ્યું છે.  ગુજરાત ઉપર તેની કોઈ અસર નહી થાય. રાજ્યમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદને લઇ આજના દિવસે કોઈ એલર્ટ નથી.  આવતીકાલે રાજ્યમાં ફરી વરસાદ શરુ થશે.  1 સપ્ટેમ્બરથી 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદ વરસશે.  


આવતીકાલે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની શક્યતા છે.  આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે.  


બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે.  અત્યાર  સુઘીમાં આવી સિસ્ટમ માત્ર 3 વખત બની છે.  આ પહેલા 1944 ઝારખંડ નજીક, 1976 ઓડિસા નજીક અને 1986 દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી.  એ. કે. દાસ, ડાયરેક્ટર હવામાન વિભાગ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.  


મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકા 


ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ બાદ હવે મેઘરાજાએ વિરામ લીધો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યનો સરેરાશ વરસાદ માત્ર 1.36 એમ.એમ. જ નોંધાયો છે.


આ સમયગાળા દરમિયાન કચ્છના મુન્દ્રા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ એક ઇંચ જેટલો જ વરસાદ વરસ્યો છે. જ્યારે, રાજ્યના કુલ 68 તાલુકામાં એક ઇંચ કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે. આજે સવારે 6થી 10  કલાક દરમિયાન રાજ્યના કોઇપણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે તારીખ 31મી ઓગસ્ટ, 2024ના રોજ સવારે 6 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 111 ટકાએ યથાવત છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ 179 ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં 124 ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં 105 ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી 88 ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.


108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા ભરાયા


રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે 206  જળાશયોમાંથી 108 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 44 જળાશયો-ડેમ 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય રાજ્યના 20 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ અપાયું છે. જ્યારે 22 ડેમ 25 થી 50 ટકા વચ્ચે તેમજ 12 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.


આ સિવાય ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 2,86,387 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 8 ટકા જળસંગ્રહ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,32,507 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 77.21 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ કુલ 207 જળાશયોમાં 80 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.