જામનગરઃ જામનગરમાં બનેલી એક અજીબોગરીબ અને આશ્ચર્ય પમાડે તેવી ઘટનામાં પરિવારે જેમને મૃત માનીને અંતિમ સંસ્કાર કરી દીધા હતા એ વૃધ્ધ જીવિત ઘરે પાછા આવતાં સૌ આશ્ચર્યમાં પડી ગયા હતા. પરિવારે તપાસ કરતાં જેમના અંતિમ સંસ્કાર કરી દેવાય એ અન્ય વ્યક્તિ હોવાનું બહાર આવ્યું છે.


આ ઘટનાની પ્રાપ્ત વિગતો પ્રમાણે, જામનગરના કાલાવડ નાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજી રાઠોડ બે દિવસ પૂર્વે ગુમ થયા હતા.  તેમના પરીવારજનોએ પોતાના પરિવારના સભ્ય ગુમ થવા બાબતે એ ડીવીઝન પોલીસમથકમાં જાણ કરી હતી. બીજી તરફ  છૂટક મજુરી કામ કરતા અન્ય એક વૃદ્ધ કેશુભાઈ બાબુભાઈ મકવાણા પણ ગુમ થયા હતા. શાકમાર્કેટ નજીક વસવાટ કરતા કેશુભાઈ પણ પરિવારના સભ્યોને ના મળતા પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે કેશુભાઈ મકવાણાનો મૃતદેહ શાકમાર્કેટ નજીકથી મળી આવ્યો હોવાની જાણ તેમના પરિવારજનોને કરી હતી.  મૃતદેહનો પોલીસે કબજો સંભાળી અને હોસ્પિટલ ખાતે લઇ ગઈ હતી. આ મૃતદેહ કેશુભાઈના પરિવારને અપાતાં  પરિવારજનોએ તેમને કેશુભાઈ મકવાણા સમજી તેમના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા.


આ ઘટનામાં પરિવારે ખરેખર જેમને પોતાના સમજીને અંતિમ સંસ્કાર કર્યા તે કેશુ મકવાણા જીવિત હતા અને દયાળજી રાઠોડ ગુજરી ગયા હતા. કેશુભાઈ મકવાણા  અંતિમ સંસ્કાર બાદ પોતાના ઘરે બીજા દિવસે પહોચતાં પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો, કે આમના તો ગઈકાલે અંતિમ સંસ્કાર કર્યા તો જીવિત કેમ ?


પરિવારે આ મામલે પોલીસને જાણ કરી તો સમગ્ર બાબત અલગ દિશામાં લઇ જનારી નીકળી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે,  ખરેખર કાલાવડનાકા બહાર વસવાટ કરતા દયાળજીભાઈ દામજી રાઠોડ ગુમ થયા હતા અને તેનો મૃતદેહ શાક માર્કેટ નજીકથી મળી આવ્યો હતો. આ મૃતદેહની ખરાઈ કર્યા વિના જ કેશુ મકવાણાના પરિવારે પોતાના વડીલ સનતીને દયાળજી રાઠોડના અંતિમ સંસ્કર કેશુ બાબુ મકવાણા માનીને કરી નાખ્યા હતા. ખરેખર જે મૃતદેહ મળી આવ્યો હતો તે કેશુભાઈ મકવાણાનો હતો જ નહિ અને તે મૃતદેહ દયાળજીભાઈનો હતો. કેશુભાઈ જીવિત ઘરે પહોચતા આ બાબત સામે આવી હતી.  બંને  પરિવારો પોલીસ મથકે પહોચ્યા અને બાદમાં સ્મશાન ખાતે પહોચીને અસ્થીકુંભમાંથી નામો બદલવાની કાર્યવાહી અને પોલીસ પાસેથી જરૂરી દાખલા લેવાની વિધિ શરુ કરી છે.