સાબરકાંઠા: ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય જેઠાભાઈ ભુરાભાઈ રાઠોડનું નિધન થયું છે. તેઓ 86 વર્ષની ઉંમરે અનંતના માર્ગે ચાલ્યા ગયા છે.  ગુજરાત વિધાનસભામાં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના ધારાસભ્ય રહી ચૂકેલા જેઠાભાઈ રાઠોડ  વર્ષ 1967થી 1971 સુધી ખેડબ્રહ્માના ધારાસભ્ય પદે રહ્યા હતા. તમને જણાવી દઈએ કે,  જેઠાભાઇ રાઠોડ સાઈકલ પ્રવાસ કરી સ્થાનિક કોંગ્રેસ ઉમેદવાર સામે સ્વતંત્ર પક્ષના ઉમેદવાર તરીકે 17 હજારથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. પોતાની પ્રમાણિકતાને લઈને પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ન્યૂઝ પેપર અને ટીવી ચેનલોમાં જેઠાભાઈ હંમેશા ચર્ચામાં રહેતા હતા. એટલું જ નહીં જેઠાભાઇ રાઠોડ એસ.ટી. બસમાં ખેડબ્રહ્માથી ગાંધીનગર જતા હતા. 


 




વધુ એક ગુજરાતી યુવકની કેનેડામાંથી મળી આવી લાશ


મૂળ ભાવનગરના સિદસર ગામનાં એક પટેલ પરિવારના પુત્રની કેનેડામાંથી લાશ મળી આવી છે. સીદસર ગામનો આયુષ રમેશભાઈ ડાખરા નામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ કરતો હતો. ગઈ તારીખ 5 મેં ના રોજ આ યુવાન ગુમ થયો હતો હવે તેની લાશ મળી આવી છે. મૃતક વિદ્યાર્થીના પિતા રમેશભાઈ ડાખરા Dysp તરીકેની ફરજ બજાવે છે. મૃતક આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટો શહેરમાં આવેલી York યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કરી રહ્યો હતો. હાલ આયુષનાં પરિવારજનો રહસ્યમય મોતના મામલે કઈ પણ કહેવાનો ઈન્કાર કરી રહ્યા છે.


વડોદરામાં તળાવ કિનારે કપડા ધોતી મહિલાને મગર પાણીમાં ખેંચી જતા અરેરાટી


વડોદરા: કરજણ સ્વામી વિવેકાનંદ તળાવમાં મગર એક મહિલાને પાણીમાં ખેંચી ગયો છે. સામે આવેલી વિગતો અનુસાર મહિલા તળાવ કિનારે કપડા ધોવા માટે ગઈ હતી. તળાવમાં કપડા ધોતી વખતે અચાનક મગર મહિલાને પાણીમાં ખેચી ગયો હતો. મહિલા કરજણ જુનાબજાર વિસ્તારમાં રહેતા હતા અને તેમનું નામ ચંચલબેન રાઠોડ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાને પગલે કરજણ સ્વામી વિવેકાનંદ તળાવ કિનારે લોકોની ભીડ જામી હતી. કરજણ ફાયર વિભાગને જાણ કરાતાં કરજણ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ટીમે મહિલાની શોધખોળ ચાલુ કરી છે. 


ભરૂચમાં ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો યુવકનો મૃતદેહ


ભરૂચ: સાચણ ગામ નજીકથી ઝાડ પર લટકતી લાશ મળી આવી છે. મૃતદેહ આંકોટ ગામનાં અનિલ સોમાભાઈ ગોહિલ હોવાનું બહાર આવ્યું છે. સાચણથી પિસાદ તરફ કેનાલ રોડ પર  25 થી 30 ફૂટની ઊંચાઈ પર લીમડાના ઝાડ ઉપર લટકેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. વાગરા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા કે હત્યા તે અંગે તપાસ હાથ શરુ કરવામાં આવી છે.


બનાસકાંઠામાં બાઈક અને જીપ વચ્ચે અકસ્માતમાં બે યુવાનોના મોત


બનાસકાંઠા: ધાનેરાના જાડી અને સેરા ગામ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બે યુવાનોના કમકમાટી ભર્યા મોત થયા છે જ્યારે એક ઘાયલ થયો છે. બાઈક અને જીપ ગાડી વચ્ચે મોડી રાતે અકસ્માતની ઘટના બની હતી. 18 વર્ષીય અરવિદ અને 26 વર્ષીય મહેન્દ્રનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. સમગ્ર ઘટનાની જાણ થતાં ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી છે. 108 મારફતે ઇજાગસ્તને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે. અકસ્માતની ઘટનામાં બે લોકોના મોતથી અરેરાટી મચી જવા પામી છે.