જૂનાગઢ: વર્ષોની પરંપરા મુજબ જૂનાગઢમાં લાખો ભાવિકોની હાજરીમાં યોજાતો મહા શિવરાત્રીનો મેળો કોરોના મહામારીને લઈને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જો કે વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવવા માટે સાધુ-સંતો દ્વારા મહા વદ નોમને દિવસે સ્નાનવિધિ, ધ્વજારોહણ, પૂજન-અર્ચન કરવામાં આવશે અને પાંચ દિવસ મેળાની પરંપરા જાળવવામાં આવશે. બહારથી આવતા સાધુ સંતોને પણ ગિરનાર ન આવવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.




કોરોના સંક્રમણને કારણે શિવરાત્રીનો મેળો ન યોજના માટે નિર્ણય લેવાયો છે. 11 માર્ચે શિવરાત્રી હોવાથી શિવરાત્રીના નિમિતે મોટી સંખ્યામાં લોકો ભવનાથ મંદિરના દર્શને આવતા હોય છે. શિવરાત્રીમાં અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. કોરોના મહામારી વચ્ચે  શિવરાત્રી પર્વના કારણે લોકોની ભીડ જમા થઇ શકે છે. આ શક્યતાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રે મેળાની સાથે ગિરનાર રોપવે પણ 11 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.