અમદાવાદઃ રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 510 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે 35 દર્દીના મૃત્યુ થયા છે. આજે 344 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 19119 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1190એ પહોંચ્યો છે.


જોકે કોરોનાને મામલે ગુજરાતમાં જૂન માસ ઘાતક સાબીત થયો છે. જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાથી કુલ ૧૫૨ના મૃત્યુ થઇ ચૂક્યા છે.



ગુજરાતમાં જૂન માસના પ્રથમ પાંચ દિવસમાં કોરોનાના કુલ ૨૩૨૫ કેસ નોંધાયા છે. જેમાં સળંગ સાત દિવસથી ૪૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. હાલ રાજ્યમાં કોરોનાથી મૃત્યુઆંક ૧૧૯૦ થયો છે. જેમાંથી અંદાજે ૧૩ ટકા તો માત્ર જૂનના પ્રથમ પાંચ દિવસમાં જ છે. છેલ્લા ૧૦ દિવસમાં જ ગુજરાતમાંથી ૨૭૫ વ્યક્તિના કોરોનાથી મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ ૩૫ શુક્રવારે નોંધાયા હતા.

આ રીતે જૂન માસમાં ગુજરાતમાં દરરોજ સરેરાશ 465 કેસ નોંધાય છે અને 30 લોકોના મોત થયા છે. અમદાવાદમાં જૂન માસમાં કોરોનાના કુલ ૧૪૯૮ કેસ નોંધાયા છે જ્યારે ૧૨૬ના  મૃત્યુ થયા છે. અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક ૧૩૬૭૮ થઇ ગયો છે. જેમાંથી ૧૦ ટકાથી વધુ છેલ્લા ૧૦ દિવસમાં જ છે.