જૂનાગઢ:  ફળોના રાજા કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. યાર્ડમાં પ્રતિ 10 કિલો બોક્સના 2000થી 3000 રૂપિયા બોલાયા હતા. કેરીના રસિકો માટે આ સારા સમાચાર છે.  આ વર્ષે તાલાલા પંથકમાં આંબા પર સારા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થયું છે. વેપારીઓના મતે આગામી 15 દિવસમાં કેરીની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળશે.


કેરીના રસિયાઓ જેની આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે એ કેસર કેરીનું આગમન જૂનાગઢના માર્કેટ યાર્ડમાં થઈ ગયું છે. ગુજરાત સહિત દેશભરમાં તાલાલાની કેસર કેરી ખૂબ જ જાણીતી છે. તાલાલા પંથકની કેસર કેરીનાં 40 બોક્સની આવક થઈ છે. આ કેરીના 10 કિલોના 2000થી 3000 રૂપિયા ભાવ બોલાયા હતા. ગુજરાતવાસીઓ કેરીની સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં કેસર કેરીનો સ્વાદ માણતા હોય છે. તાલાલા ગીરની કેસર, કચ્છની કેસર તેમજ વલસાડની હાફુસ કેરી ગુજરાત અને દેશવિદેશમાં ખૂબ જ લોકપ્રિય છે. 


CRIME NEWS: સુરતના પંડોલ વિસ્તારમાં મોડી રાત્રે ખેલાયો ખુની ખેલ, બે લોકોની ઘાતકી હત્યા


સુરત શહેરના પંડોળમાં વહેલી સવારે આઠ હુમલાખોરો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો,જેમાં બે યુવકોની ઘાતકી હત્યા થઈ ગઈ છે, અને અન્ય બેની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. દારૂના અડ્ડા પર ડબલ મર્ડરની ઘટના બનતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતુ.


સુરત શહેરના પંડોળ ખાતે ગઈકાલે મોડી રાત્રે જુની અદાવતમાં આઠ યુવકો દ્વારા કરવામાં આવેલા હિચકારા હુમલામાં બેનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા,જ્યારે અન્ય બે યુવકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગેની જાણ થતાં જ ચોક બજાર પોલીસ મથકના પીઆઈ સહિતનો કાફલો ઘટના સ્થળે ઘસી ગયો હતો. એક સપ્તાહ પૂર્વે થયેલી બબાલને પગલે બે યુવકોની ઘાતકી હત્યાને પગલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની સાથે ચાર હુમલાખોરોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે અન્ય ચાર યુવકો નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.


ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલ પંડોળના અટલજી નગરમાં રહેતા મનોજ નાયક અને કૈલાશ તેમજ રહેમત નગરમાં રહેતા પરવલ્લી અને રાજુ ઠાકોર નામક યુવકો સવારે 3.30 કલાકના સુમારે ઘર પાસે બેઠા હતા. આ દરમ્યાન આઠેક જેટલા ઈસમો ઘાતકી હથિયારો સાથે ઘટના સ્થળે ગયા હતા. જ્યાં હુમલાખોરો દ્વારા પરવલ્લી, મનોજ નાયક, રાજુ ઠાકોર અને કૈલાશ પર હુમલો કરતાં પરવલ્લી અને રાજુ ઠાકોર ઘટના સ્થળે જ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. 


બીજી તરફ રાજુ અને કૈલાશ ત્યાંથી નાસી છૂટ્યા બાદ હુમલાખોરોએ તેઓનો પીછો કરીને રહેમત નગર ખાતે આ યુવકોને ઝડપી લીધા હતા. જ્યાં રાજુ અને કૈલાશને પેટ અને પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતાં આ બન્ને યુવકોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. વહેલી સવારે સર્જાયેલા હિચકારા હુમલાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.