ગાંધીનગરઃ ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલને ગુજરાત કોંગ્રેસના ટોચના આગેવાન ભરતસિંહ સોલંકીએ રાજકારણમાં આવીને કોંગ્રેસમાં જોડાવા નિમંત્રણ આપ્યું હતું. નરેશ પટેલે રાજકારણમાં સક્રિય થવાના સંકેત આપ્યા છે. નરેશ પટેલે જાહેરાત કરી છે કે, પાટીદાર સમાજ કહેશે તો પોતે રાજકારણમાં આવશે. તેમણે કહ્યું કે યોગ્ય સમય આવશે ત્યારે પાટીદાર સમાજ આ અંગે નિર્ણય લેશે અને પાટીદાર સમાજનો આદેશ હશે તો પોતે રાજકારણમાં આવશે. સાથે સાથે તેમમે એ સ્પષ્ટતા પણ કરી છે કે, ક્યાં પક્ષમાં જઈશ તે પણ સમાજ નક્કી કરશે. 


 


પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાની ગુજરાત સરકારે ખાતરી આપી હતી. આ ખાતરી છતાં તમામ કેસો પાછા ના ખેંચાતાં પાટીદાર સમાજમાં અસંતોષ છે. આ અસંતોષ દૂર કરવા  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી નિવાસસ્થાને પાટીદા અગ્રણીઓની ખાસ બેઠક બોલાવી છે. આ બેઠક પહેલાં પાટીદાર આગેવાનોની બેઠક સરદાર ધામ ખાતે મળી હતી. આ બેઠક પછી નરેશ પટેલે પોતે રાજકારણમાં જોડાશે એવો સંકેત આપ્યો છે. મુખ્યમંત્રી સાથેની પાટીદાર આગેવાનોની બેઠકમાં  પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવાના મુદ્દે ચર્ચા થશે અને કોઈ નક્કર નિર્ણય લેવાય તેવી શક્યતા છે.