અમદાવાદઃ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે ભાજપમા નારાજ કાર્યકરોના પ્રશ્ન સાંભળવા વિજય રૂપાણી સરકારના મંત્રીઓને કમલમમાં બેસવા આદેશ કર્યો હતો પણ બે અઠવાડિયામાં જ મંત્રી આવતા બંધ થઈ ગયા છે.


ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આદેશને પગલે દર સોમવાર-મંગળવારે મંત્રીઓ કાર્યકરોના પ્રશ્ન-રજૂઆત સાંભળવા કમલમમાં આવશે એવી જાહેરાત કરાઈ હતી. પણ આ સોમવારે એક પણ મંત્રીએ કમલમમાં આવવાનુ ટાળ્યુ હતુ. તેના બદલે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કાર્યકરોની વેબકેમના માધ્યમથી રજૂઆત સાંભળી હતી.

પાટીલના આદેશના પગલે કમલમમાં કાર્યકરોની ભીડ ઉમટી રહી છે. ભાજપના કાર્યકરો માસ્ક પહેરતા નથી કે સોશિયલ ડિસ્ટન્સિંગનુ પાલન કરતાં તેથી કોરોના કમલમ સુધી પહોંચ્યો છે. કમલમમાં કાર્યાલય મંત્રી પરેશ પટેલ કોરોનાથી સંક્રમિત થતાં સોમવારે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કમલમમાં આવવાનુ ટાળ્યુ હતું. મંત્રી કૌશિક પટેલે સચિવાલયમાં જ રહીને વેબકેમના માધ્યમથી કાર્યકરોના તબક્કાવાર પ્રશ્નો સાંભળ્યા હતાં. સોમવારે લગભગ 30-35થી વધુ કાર્યકરોની ઓનલાઇન રજૂઆત સાંભળવામાં આવી હતી. કમલમમાં કાર્યાલય મંત્રી સહિત અન્ય બે કર્મચારી પણ કોરોનાથી સંક્રમિત થયા છે. હવે કોરોનાનું સંક્રમણ વધ્યુ છે ત્યારે ભાજપના નેતાઓ પણ કમલમમાં આવતા ડરી રહ્યાં છે.

આ કારણે હવે મંત્રીઓ કાર્યકરોના ઓનલાઇન જ પ્રશ્ન સાંભળશે. કોરોનાના કારણે સચિવાલયમાં તો મંત્રીઓ મુલાકાતીઓને મળવાનુ જ ટાળી રહ્યાં છે. આજે મંગળવારે પણ મંત્રી જયદ્રથસિંહ પરમાર પણ ઓનલાઇન જ રજૂઆત સાંભળશે.