Kutch: ગુજરાતમાંથી વધુ એકવાર એસટી બસના ડ્રાઇવરનું કરતૂત સામે આવ્યુ છે. એસટી બસના ડ્રાઇવરે ફરી એકવાર મુસાફરોની જિંદગી સાથે રમત રમવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં જ કચ્છમાંથી એક ઘટના સામે આવી છે જેમાં એસટી બસના ડ્રાઇવરે દારૂ પીધેલી હાલતમાં એસટી બસ હંકારીને મુસાફરોના જીવ જોખમમાં મુકી દીધા હતા, આ ઘટનાની વીડિયો સામે આવ્યા બાદ ડ્રાઇવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. 


હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુજરાતની એસટી બસનો ડ્રાઇવર દારૂ પીને નશાની હાલતમાં એસટી બસ હંકારી રહ્યો છે. આ ઘટના કચ્છ જિલ્લામાં ઘટી છે, અહીં માંડવી-વડોદરા એસટીની સ્લીપર કૉચમાં બસનો ડ્રાઇવેર દારૂ પીને ડ્રાઇવિંગ કરી રહ્યો હતો, ચાલુ બસે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવાના કારણે બસમાં રહેલા મુસાફરોએ હોબાળો મચાવી દીધો હતો, આ ઘટનાનો વીડિયો રાત્રીના સમયનો છે, જેના કારણે સ્પષ્ટ રીતે જોઇ શકાતુ નથી. બસમાં મુસાફરોના આક્રોશને જોતા એસટી બસના ડ્રાઇવરે આખી સ્લીપર કૉચ બસને રસ્તાનાં રૂટમાં અધવચ્ચે છોડી દીધી હતી, ડ્રાઇવર માંડવી વડોદરા રૂટની સ્લીપર કૉચ એસટી બસ ગોડપર ગામ પાસે મૂકી ભાગી ગયો હતો. આ ઘટનાને એસટી વિભાગે ગંભીરતાથી લઇને ડ્રાઇવર વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી, ડ્રાઇવરને ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યો હતો. 


રાજ્ય સરકારે એસટી બસના ભાડામાં કર્યો ધરખમ વધારો -


સામાન્ય નાગરિકો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના એસટી બસના ભાડામાં 25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારીના માર વચ્ચે પીસાતી સામાન્ય જનતા પર વધુ એક માર પડ્યો છે.  રાજ્યમાં 10 વર્ષ બાદ ગુજરાત સરકારે એસટી બસના ભાડામાં વધારો કર્યો છે. લોકલ બસમાં પ્રતિ કિલોમીટર 64 પૈસાની જગ્યાએ 80 પૈસા કરવામાં આવ્યા છે.  એક્સપ્રેસ બસમાં 68 પૈસાના બદલે 85 પૈસા કરવામાં આવ્યા છે.  નોનએસી અને સ્લિપર કોચમાં 62 પૈસાથી વધારીને 77 પૈસા કરવામાં આવ્યા છે.  રાજ્ય સરકારે 10 વર્ષ બાદ ભાડામાં વધારો કરતાં મુસાફરોના ખિસ્સાં ખાલી થાય તેવી શક્યતા છે. સરકાર બચાવ કરી રહી છે કે વર્ષ  2014 બાદ અલગ-અલગ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધ્યું છે. જેને પગલે ગુજરાતમાં પણ બસની ટિકિટના ભાવમાં વધારો કરાયો છે. સરકારે નવા દરો પણ જાહેર કર્યા છે. 











ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર


ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં મુસાફર ભાડા વધારા બાબતે પ્રેસનોટ જાહેર કરવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મુસાફરોની સવલત માટે સતત પ્રયત્યશીલ અને ચિંતિત છે. ગુજરાત સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરેલ, જેના ભાગરુપે ભારતમાં પ્રથમ વખત BS6ના 2320 જેટલા નવીન વાહનો મુસાફરો જનતાની સવલતમાં મુકવામાં આવેલ છે. નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવેલ છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ કાર્યરત છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. 


એસટી નિગમ દ્વારા સને 2014 પછી ભાડામાં સુધારો કરેલ નથી. જ્યારે અન્ય રાજ્યો દ્વારા પગાર, ડીઝલ તથા સ્પેરપાર્ટ્સના ભાવ વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ભાડામાં લગભગ દર વર્ષે વધારો કરવામાં આવે છે, જ્યારે ગુજરાત એસટી નિગમ દ્વારા છેલ્લા 10 વર્ષથી મુસાફર ભાડામાં કોઈજ વધારો કરેલ નથી.  વર્ષ 2014 બાદ આજ દિન સુધી વિવિધ કારણોસર નિગમનું આર્થિક ભારણ ખુબ જ વધેલ છે. લગભગ 10 વર્ષથી ગુજરાત એસ.ટી નિગમના મુસાફર ભાડામાં કોઈ વધારો કરવામાં આવેલ નથી.જ્યારે રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ જેવા અન્ય રાજ્યો દ્વારા દર વર્ષે ભાડામાં વધારો કરવામાં આવેલ છે.