Gujarat Monsoon: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યારે આજે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ ધોધમાર વરસાદની આગાહી કરી છે જેમા કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગે  મોરબી, બનાસકાંઠામાં અતિભારે જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરી છે.


આ દરમિયાન કચ્છના પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ છે. ભારે વરસાદના કારણે ભુજના મુખ્ય બજારોમાં પાણી ભરાયા છે. ભુજના શાક માર્કેટ વાણિયાવાડમાં પાણી ભરાતાં લોકોને હાલાકી પડી રહી છે. રીજિયન  પ્રમાણે કચ્છમાં સૌથી વધુ  18.26 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 17.35 ઈંચ અને સૌરાષ્ટ્રમાં 15.87 ઈંચ વરસાદ નોંધાયો છે.




ગુજરાતમાં નૈઋત્યના ચોમાસાના આગમનને બરાબર બે સપ્તાહ થયા છે. આ વખતે ચોમાસાએ સારી શરૃઆત કરતાં  રાજ્યમાં સરેરાશ 13.21 ઈંચ સાથે મોસમનો 38 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગત વર્ષે 8 જુલાઇ સુધી ગુજરાતમાં 7.67 ઈંચ સાથે મોસમનો સરેરાશ માત્ર 23.50 ટકા વરસાદ પડયો હતો. આ ઉપરાંત ચોમાસાની વર્તમાન સીઝનમાં 100 ટકાથી વધુ વરસાદ પડયો હોય તેવો કચ્છ સૌપ્રથમ જિલ્લો છે.




આ અંગે  પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના 10માંથી ચાર તાલુકામાં આ વખતે 100 ટકાથી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. જેમાં 188.68 ટકા સાથે અંજાર, 123.69 ટકા સાથે ભુજ, 136.39 ટકા સાથે ગાંધીધામ અને 126.88 ટકા સાથે મુન્દ્રાનો સમાવેશ થાય છે. કચ્છના રાપરમાં 9.92 ઈંચ સાથે મોસમનો સૌથી ઓછો વરસાદ પડયો છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો જુનાગઢના વિસાવદરમાં સૌથી વધુ 44.25 ઈંચ, જુનાગઢના મેંદરડામાં 39.44 ઈંચ અને નવસારીના ખેરગામમાં 38.93 ટકા વરસાદ પડયો છે.




જિલ્લા પ્રમાણે સૌથી વધુ વરસાદમાં વલસાડમાં સૌથી વધુ 33.03 ઈંચ, જુનાગઢમાં 28.70 ઈંચ, નવસારીમાં 26.65 ઈંચ વરસાદ નોંધાયો છે. વલસાડમાં 33 ઈંચ સાથે મોસમનો હજુ સુધી 36 ટકા વરસાદ પડયો છે. છેલ્લા 30 વર્ષની સરેરાશ જોવામાં આવે તો ચોમાસા દરમિયાન વલસાડમાં 92 ઈંચ જેટલો વરસાદ ચોમાસા દરમિયાન પડતો હોય છે. રાજ્યના બે તાલુકામાં 40 ઈંચથી વધુ, 44 તાલુકામાં 20 થી 40 ઈંચ સુધી, 99 તાલુકામાં 10 થી 20 ઈંચ અને 15 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ પડયો છે. 2.75 ઈંચ સાથે દાહોદના ગરબાડા, 2.91 ઈંચ સાથે લીમખેડા, 2.91 ઈંચ સાથે છોટા ઉદેપુરના નસવાડી એવા તાલુકા છે જ્યાં સૌથી ઓછી મેઘમહેર થઇ છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial