નવરાત્રીની શરૂઆતની સાથે જ ખેલૈયાઓના રંગમાં ભંગ પડે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે દાદરા નગર હવેલી, દાહોદ, પંચમહાલ, મોરબી, સુરેંદ્રનગર, રાજકોટ, બોટાદ, પોરબંદર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ વરસી શકે છે.


તો રવિવારે સુરત, ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સોમવારે ભરૂચ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, જ્યારે મંગળવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દ્વારકા, દીવમાં 30થી 40 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


વડોદરામાં રોગચાળો વકર્યો


કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. પરંતુ પાણી અને મચ્છરજન્ય રોગચાળાના કારણે રાજ્યની મોટાભાગની હોસ્પિટલ હાઉસફૂલ થઈ છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલી ચેપી રોગની હોસ્પિટલમાં દરરોજ 100 જેટલા દર્દીઓ સારવાર માટે આવે છે. જેના કારણે ઓપીડી હાઉસફૂલ થઈ છે. વડોદરામાં અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 1 હજાર 632, ચિકનગુનિયાના 911, વાયરલ ફીવરના 11 હજાર 549 કેસો નોંધાયા છે.


અમદાવાદમાં પ્રદૂષણ


રાજ્યના ઘણા શહેરોમાં મોટાપાયે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે..આ વાતનો સ્વીકાર ખુદ સરકારે હાઈકોર્ટમાં કર્યો છે. GPCBએ ગુજરાત હાઈકોર્ટમાં એફિડેવિટ કરી કહ્યું કે, અમદાવાદના વટવા, વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત અને રાજકોટ શહેર અતિ પ્રદૂષિત છે. રાજ્યના મહાનગરો અને અન્ય શહેરોના વાયુ પ્રદૂષણનો બાબતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ગુજરાત હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું છે.  જેમાં વડોદરા, અંકલેશ્વર, વાપી, સુરત, રાજકોટ અને અમદાવાદમાં વટવા વિસ્તાર અતિ ગંભીર રીતે પ્રદૂષિત હોવાની વાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સ્વીકારી છે.


આ સિવાય ભાવનગર, મોરબી, જૂનાગઢ અને અમદાવાદના નરોડા-ઓઢવ વિસ્તાર અતિ પ્રદૂષિત હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. સોગંદનામાં શહેરોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવ્યા હોવાની સોગંદનામાં કરવામાં આવી છે. ઉપરાંત


15 વર્ષથી જૂના વાહનો રસ્તા પર ચલાવવા પર રોક લગાવવાનો નિર્ણયનો ઉલ્લેખ તેમાં કરવામાં આવ્યો છે.