કેરળની સાથે ગુજરાતમાં પણ ચોમાસાનું આગમન થઈ ગયુ હોય તેવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં હવામાન ખાતાએ જુદા જુદા ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ પર સાયક્લોનિક સરક્યુલેશન છવાયેલું છે. તેમજ બીજુ સરક્યુલેશન દક્ષિણ ગુજરાતના કાંઠે ઉત્તર પૂર્વ અરબી સમગ્રુ પર છવાયેલું છે. જો કે બંન્ને સમુદ્રની સપાટીથી ઉપર છે. પરંતુ તેમ છતા બંબે સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સવારે અને સાંજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.


આગામી પાંચ દિવસ સુધી હવામાન વિભાગે ગાજવીજ, વીજળી ત્રાટકવાના અને 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાવા સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં પ્રથમ દિવસે દમણ, દાદરાનગર હવેલી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ,અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ બોટાદમાં વરસાદ પડી શકે છે.


બીજા દિવસે સુરત, ભરૂચ, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદ પડવાની શક્ય.તા છે.


ત્રીજા દિવસે સુરત, ભરૂચ, વડોદરા, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દીવમાં વરસાદની શક્યતા છે.


ચોથા દિવસે દમણ, દાદરાનગર હવેલી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવમાં વરસાદની આગાહી છે.


પાંચમા દિવસે દમણ, દાદરાનગર હવેલી ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, દીવમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.


રવિવારે નવસારી જિલ્લાના વાંસદામાં છ કલાકમા બે ઈંચ જ્યારે સુરતના માંડવામાં બપોરે દોઢ ઈંચ, ઉમરપાડામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરત, તાપી,ડાંગ, જિલ્લામાં પણ સારો એવો વરસાદ નોંધાયો હતો.


રવિવારે રાજકોટ  શહેરની નજીકના વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો.  ગોંડલ ચોકડી નજીકના વિસ્તારમાં વરસાદ પડ્યો છે.  ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.  બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો  હતો.


સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. સુરતના  ઉમરપાડામાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો.  આ તરફ ઓલપાડ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. કીમ, કુદસદ, મૂળદ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થયો છે.


ડાંગ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે.  સાપુતારા સહિત ડાંગ જિલ્લામાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. ડાંગમાં સતત છ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા છે. આહવા પાસેનો શિવઘાટનો ધોધ પણ સક્રિય થયો છે. ધોધમાર વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. તો નવસારી જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે. વરસાદના આગમનને કારણે લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.