જામનગર: સમગ્ર ગુજરાતમાં કોરોનાને ફેલાતો રોકવા માટે લોકાડાઉન જાહેર કરવામાં આવ્યું હતું જોકે બાદમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી હતી. હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનલોક-1 ચાલી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાના લાલપુર ગામમાં ફરી લોકડાઉન લાદવાનો નિર્ણય પંચાયત દ્વારા લેવામાં આવ્યો છે.


જામનગર જિલ્લાના લાલપુરા ગામમાં કોરોનાનો બીજો પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. લાલપુરમાં કોરોનાનું સંક્રમણ ફેલાય નહીં તે માટે લાલપુર ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

લાલપુર ગ્રામ પંચાયત અને સ્થાનિક આગેવાનોની હાજરીમાં એક બેઠક યોજવામાં આવી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ ફેલાય નહીં તે માટે પંચાયત દ્વારા લાલપુર ગામમાં ફરી લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

લોકડાઉનમાં થોડી છૂટછાટ પણ આપવામાં આવી છે. જેમાં મેડિકલ અને દૂધ સિવાયની તમામ દુકાનો સવારે 7 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ખુલ્લી રહેશે. વિવિધ એસોશિયેશન અને ગામના આગેવાનો સાથે બેઠક યોજીને આ નિર્ણય લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગામમાં માસ્ક ફરજિયાત પહેરવું તેવો નિયમ બનાવવામાં આવ્યો છે.