દેવભૂમિ દ્વારકા: દ્વારકા જિલ્લામાં વધુ 2 ગામોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. દ્વારકાના વિરમદળ અને વડત્રા ગામમાં સવારથી બપોર સુધી જ દુકાનો ખુલી રહેશે. બપોર બાદ સંપૂર્ણપણે દુકાનો બંધ રહેશે. બંને ગામો 21 તારીખ સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. અત્યાર સુધીમાં દ્વારકા જિલ્લાના કુલ 14 ગામો સ્વૈચ્છિક લોકડાઉન લગાવી ચૂક્યા છે.  સંક્રમણ વધતાં લોકો સ્વયંભૂ લોકડાઉન તરફ વળી રહ્યા છે.  


રાજકોટના જેતપુરના વધુ એક ગામે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. વાડાસાડ, જેતલસર જંકશન બાદ મંડલીકપુર ગામે પણ બંધનો નિર્ણય લીધો છે. મંડલીકપુર ગામમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની દુકાનો સવારે સાતથી નવ વાગ્યા સુધી અને સાંજે 6થી 8 વાગ્યા સુધી જ ખુલ્લી રહેશે. આ સાથે જ ગામમાં માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસિંગના નિયમોનુ પાલન ન કરનારને દંડ ફટકારવામાં આવશે. 


જૂનાગઢ જિલ્લાના  વિસાવદરમાં આજથી 30મી સુધી સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. વેપારીઓ અડધો દિવસ ધંધા-રોજગાર બંધ રાખશે. બપોરે બે વાગ્યા સુધી જ વેપાર ધંધા ચાલુ રહેશે.  


જામનગરમાં જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં આગામી 20 દિવસ સ્વૈચ્છીક આંશિક લોકડાઉન લગાયું છે. વધતા કોરોના સંક્રમણને પગલે ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય લેવાયો છે. આગામી 30 એપ્રિલ સુધી ગામમાં આંશિક લોકડાઉન લગાવાયું છે. દરરોજ સવારે 6 વાગ્યા થી બપોરે 2 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. બપોરે 2 વાગ્યા બાદ ગામ સજ્જડ બંધ રાખવા સ્વૈચ્છીક નિર્ણય લેવાયો છે. 


અમરેલી જિલ્લાના કોરોના વધતા  સંક્રમણને પગલે માર્કેટિંગ યાર્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જીલ્લાના બે સૌથી મોટા માર્કેટીંગ યાર્ડ આગામી 5 દિવસ સુધી બંધ રહેશે. અમરેલી APMC તા. 14 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે, જ્યારે બાબરા APMC તા. 13 થી 18 એપ્રિલ સુધી બંધ રહેશે. ઉપરોકત રજાના દિવસે ખેત જણસો નહી લાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.  


ગઈકાલે રાજ્યમાં સૌથી વધુ 5469 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 54નાં મૃત્યુ થયા છે. ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4800 પર પહોંચ્યો છે.  રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. ગામડાઓમાં લોકો સ્વૈચ્છિક લોકડાઉન લગાવી રહ્યા છે.