સાબરકાંઠા:  સાબરકાંઠા લોકસભા બેઠક ભાજપ માટે માથાના દુખાવા સમાન બની છે. ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાની ના પડ્યા બાદ શોભનાબેન બારૈયાને ટીકીટ આપવામાં આવતા ભીખાજીના સમર્થકોએ આજે મેઘરજ બંધનું એલાન આપી શક્તિ પ્રદર્શન કર્યું હતું.  ભીખાજીને ટીકીટ આપવા માંગ કરી છે. ભાજપે 13 માર્ચે સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ભીખાજી દૂધાજી ઠાકોરની જાહેરાત કર્યા બાદ તેમની અટકનો મુદ્દો સામે આવતા હાઇકમાન્ડ સુધી તેમની જાતિને લઇને ઉભી થયેલા વિવાદને પગલે હાઇકમાન્ડે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે પડતાં મૂકવામાં આવ્યા હોવાની જાણ કરતા તેમણે સોશિયલ મીડિયામાં વ્યક્તિગત કારણોસર ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હોવાની પોસ્ટ કરતા તેમના સમર્થકોમાં સોંપો પડી ગયો હતો. 


સાથે તેમની સાથે કરેલ અન્યાયને પગલે અરવલ્લી જીલ્લા સહિત અનેક ભાજપના અગ્રણીઓ અને કાર્યકરોમાં ભારે આક્રોશ સાથે ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે ફરીથી જાહેર કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની હતી.  ઉંડવા અને મેઘરજમાં તેમના સમર્થનમાં રેલી કાઢી બેનર પ્રદર્શિત કર્યા હતા અને મેઘરજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.


ભીખાજી ઠાકોરના ટેકેદારો અને ભાજપના અગ્રણીઓએ આપેલ બંધને પગલે મેઘરજ સજ્જડ બંધ રહ્યું હતું.  ભીખાજી ઠાકોરના સમર્થનમાં વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખ્યા હતા.  મેઘરજમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો એકઠા થયા હતા અને મોડાસા ખાતે આવેલ જીલ્લાના  કમલમ કાર્યાલયમાં રજૂઆત કરવાનું નક્કી કરતા મેઘરજ અને માલપુરના ટેકેદારો ટ્રક અને ટેમ્પા જેવા વાહનોમાં સવાર થઈને મોડાસા શહેરના મેઘરજ બાયપાસ રોડ પર આવેલ પેલેટ ચોકડી એકઠાં થયા પછી રેલી સ્વરૂપે અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે હજારોની સંખ્યામાં ટેકેદારો પહોંચી ભીખાજી ઠાકોરને પક્ષે કરેલ અન્યાયને ઠાકોર સમાજનો અન્યાય હોવાનું જણાવી નવા ઉમેદવાર તરીકે તેમને જાહેર કરવાની માંગ કરી ભારે સુત્રોચ્ચાર કર્યા હતા. 


ભીખાજી ઠાકોરને ટીકીટ નહીં આપવામાં આવે તો આગામી સમયમાં મેઘરજ પંથકમાં ભાજપના ઉમદેવારને પ્રચાર કરવા પ્રવેશવા દેવામાં નહીં આવે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેના તકેદારીના ભાગરૂપે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. કેટલાક કાર્યકરોએ અરવલ્લીના કમલમ કાર્યાલયમાં ધરણાં કરી જ્યાં સુધી ભીખાજી દૂધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર નહીં કરવામાં ત્યાં સુધી અહીંથી ઉભા નહીં થવાની ચીમકી આપી હતી.  આ બધાની વચ્ચે ભીખાજી ઠાકોરે ગાંધીનગર ખાતે બેઠકમાં યુ-ટર્ન લીધો હોય તેમ કાર્યકર્તાઓ અને ટેકેદારોને સમજવાની વાત કરી હતી. સાબરકાંઠામાં શોભનાબેન બારૈયાનો વિરોધ અને અરવલ્લી જિલ્લામાં ભીખાજીનું સમર્થનથી આગામી દિવસોમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર કેવા સમીકરણો સર્જાય છે તે સમય બતાવશે.